Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

કાલે વિજયા દશમી : સાદગીભેર થશે શસ્ત્રપૂજન : મીઠાઇ બજારોમાં સોડમ પ્રસરી

એક નોરતાની ઘટના કારણે સાતમુ અને આઠમુ નોરતુ સાથે ગણતા આજે નવરાત્રી સમાપન : ઉપવાસ એકટાણા કરનારાઓ નવ નોરતા પુરા કરી સોમવારે પારણા કરશેે

રાજકોટ તા. ૨૪ : આદ્ય શકિત અંબાની ભકિતમાં ભાવિકો ઓળઘોળ બન્યા છે. આ વખતે એક નોરતાની ઘટ છે. એટલે કે સાતમુ અને આઠમુ નોરતુ સાથે ગણવામાં આવે તો આજે નવમું નોરતુ થાય. એ સાથે આવતી કાલે વિજયા દશમી મનાવવામાં આવશે.

જો કે જે લોકો નવરાત્રીના ઉપવાસ એકટાણા કરતા હોય તેઓએ નવ દિવસના ઉપવાસ પુરા કરવા પડતા હોવાની માન્યતા પ્રમાણે તેઓએ સોમવારે દશેરા મનાવવાના રહે.

આ વર્ષે કોરોના મહામારીના કારણે નવરાત્રીની શાંત રીતે ઉજવણી થઇ હતી. જાહેર આયોજનોને અવગણી મોટે ભાગે ઘરે ઘરે જ ઘટ ગરબા સ્થાપન કરી શકિત આરાધનાઓ થઇ રહી છે. આજે નવમા નોરતાના પૂજા અર્ચન સાથે નવરાત્રીનું સમાપન થશે.

આવતીકાલે વિજયા દશમીનું પર્વ મનાવવામાં આવશે. આસુરી શકિત પર દૈવિ શકિતના વિજયની આ ઘડીને વધાવવા મીઠા મોં કરવામાં આવે છે. એટલે મીઠાઇ બજારોમાં આજથી જ ધમધમાટ શરૂ થઇ ચુકયો છે. અવનવી મીઠાઇની સોડમ પ્રસરી રહી છે. દશેરા મનાવવા કાલે જલેબી, ગાંઠીયા, બરફી, મેસુબ સહીતની મીઠાઇની જયાફત ઉડશે

જો કે આ વર્ષે રાવણ દહનના કાર્યક્રમો મુલત્વી રખાયા છે. જયારે શસ્ત્ર પૂજનના કાર્યક્રમો સરકારી ગાઇડ લાઇનના નિયમ પાલન સાથે સાદગીભેર યોજવામાં આવ્યા છે.

(3:04 pm IST)