Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

મા આશાપુરા માતાજી મંદિરે અષ્ટમીનો હવન સંપન્ન : કાલે રણજીત વિલાસ પેલેસમાં શસ્ત્રપૂજન

કાલે સાંજે ૪:૩૦ થી ક્ષત્રીય સમાજ ફેસબુક,યુ ટ્યૂબ ઇન્સટાગ્રામ લિંક દ્વારા જોડાઇને કરશે પૂજન વિધિઃ આ વખતે પ્રોસેસન નહીઃ સૌને કોરોના અંગેની માર્ગદર્શિકાનું પાલન કરવા ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજીનો અનુરોધ

રાજકોટ તા.૨૪ : નવરાત્રીના પાવનપર્વની પૂર્ણાહૂતિ સ્વરૂપે ગઇકાલે પેલેસ રોડ પર આવેલા મા આશાપુરા માતાજીના મંદિરે પરંપરાગત રીતે હવન પૂર્ણ થયો હતો. ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહ જાડેજા અને યુવરાજ સાહેબ શ્રી જયદીપસિંહે યજ્ઞમાં આહૂતિ આપી, બીડું હોમ્યું હતું. હવે આવતીકાલે તા. ૨૫ને રવિવારે વિજયા દસમીના શુકનવંતા દિવસે ક્ષત્રીય પરંપરા અનુસાર શસ્ત્રપૂજન રણજિત વિલાસ પેલેસમાં કરવામાં આવશે જો કે આ વર્ષે વર્તમાન સ્થિતિને ધ્યાને લઇને કોઇ કાર્યક્રમ યોજાયો નથી.

ઠાકોર સાહેબ માંધાતાસિંહે જણાવ્યું કે માતાજીનો હવન ભાવપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરી, સરકારની માર્ગદર્શિકા અનુસાર માસ્ક પહેરીને યજ્ઞની  વિધિ પૂર્ણ થઇ હતી જેને લોકોએ ફેસબૂક પેજ પર નિહાળી હતી. હવે રવિવારે દશેરાના દિવસે શસ્ત્રપૂજન પણ આ રીતે સાદગી ભર્યા કાર્યક્રમમાં થશે.

ઠાકોર સાહેબે કહ્યું કે દર વર્ષે તો ક્ષત્રીય સમાજના લોકો મોટી સંખ્યામાં રાજપૂત છાત્રાલયે એકત્ર થઇને પદયાત્રા કરીને આશાપુરા મંદિરથી  પેલેસ સુધી પહોંચતા હોય છે. પરંતુ અત્યારે સરદ્યસ યોજવાનું મુનાસિબ નથી. પારંપરિક કાર્યક્રમમાં સો વ્યકિતઓની છૂટ હોવા છતાં આપણે આ વર્ષે શસ્ત્રપૂજન માટે કોઇ મોટો કાર્યક્રમ યોજયો નથી.

રવિવારે, વિજયા દસમીના દિવસે સાંજે સાડા ચાર વાગ્યે રણજિત વિલાસ પેલેસ ખાતે શસ્ત્રપૂજન, અશ્વપૂજન, ગાદી પૂજન અને રથનું પૂજન થશે. સમાજના અન્ય લોકો ફેસબુક, યુ ટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામની લિંક દ્વારા વિધિમાં જોડાશે અને પોતપોતાના સ્થાને રહીને શસ્ત્રપૂજન કરશે.

આ કાર્યક્રમ પણ ફેસબુક પેજ, યુ ટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામ પર લાઇવ નિહાળી શકાશે. કોરોનાના કેસની સ્થિતિ હજી સામાન્ય થઇ નથી ત્યારે સૌએ સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવું જોઇએ એવો અનુરોધ શ્રી માંધાતાસિંહે કર્યો છે.  તસ્વીરમાં મા આશાપુરા માતાના મંદિરે પરંપરાગત રીતે હવન સંપન્ન થયો હતો. ઠાકોર સાહેબ શ્રી માંધતાસિંહ જાડેજા અને યુવરાજ સાહેબ શ્રી જયદીપસિંહ એ બીડું હોમ્યું હતું.

આ લિંક દ્વારા જોડાઈ શકાશે શસ્ત્ર પૂજનમાં

સૌ કોઇને અહીં આપેલી યુ ટ્યૂબ, ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામની લિંક પર જોડાઇને આ શસ્ત્રપૂજનની પરંપરા વર્ચ્યુઅલ નિહાળવા નિમંત્રણ છે.

1) https://www.youtube.com/channel/UCLnUQ642qa-sX_lkv4jZaHQ

2) http://www.facebook.com/royalfamilyofrajkot

3) http://www.instagram.com/royalfamilyofrajkot

 

(11:42 am IST)