Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

શહેરમાં લાઇટ, પાણી, સફાઇના ધાંધિયા

કોરોના કાળમાં તંત્રની મૂળભૂત સેવાઓને માઠી અસર : છેલ્લા ૨૫ દિવસમાં કોલ સેન્ટરમાં અ..ધ..ધ.. : ૧૫૧૨૯ ફરિયાદો નોંધાઇ : સ્ટ્રીટ લાઇટની ૪૫૮૩ : પાણી સબંધી ૧૭૭૨ ફરિયાદો : સફાઇની ૨૦૧૯ : ભૂગર્ભ ગટરજામની ૪૨૫૨ ફરિયાદો : દેકારો

રાજકોટ તા. ૨૬ : શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિ વકરતી જાય છે ત્યારે મ.ન.પા.ના અધિકારીઓ - કર્મચારીઓ અને પદાધિકારીઓ પણ સંક્રમિત થવા લાગતા તંત્રની મુળભૂત સેવાઓને માઠી અસર પહોંચી હોવાનું કોલ સેન્ટરમાં છેલ્લા ૨૫ દિવસમાં નોંધાયેલ ફરિયાદોના આંકડાઓ પરથી ફલીત થઇ રહ્યું છે.

કોલ સેન્ટરમાં ગઇ તા. ૧ સપ્ટેમ્બરથી ગઇકાલ તા. ૨૫ સુધીમાં સૌથી વધુ ફરિયાદો ૪૫૮૩ સ્ટ્રીટ લાઇટો બંધ હોવાની તથા શોર્ટ-સર્કિટ, લાઇટ ફુટી જવા વગેરેની નોંધાઇ છે.

જ્યારે રસ્તા પર ગંદુ પાણી, કચરાપેટી નહી ઉપાડવાની, પાઇપ ગટરજામ, ખુલ્લી ગટરોમાં ગંદકી, બાંધકામ વેસ્ટના ઢગલા, ખુલ્લા પ્લોટમાં ગંદકી, જાહેર શૌચાલયોમાં ગંદકી, સફાઇ કામદારો નહી આવતા હોવાની, કચરાપેટી નહી ઉપડી હોવાની વગેરે સફાઇ સબંધી ફરિયાદો ૨૦૧૯ જેટલી નોંધાઇ છે. જ્યારે પાણી ચોરી, ભૂતિયા નળ જોડાણ, અનિયમિત પાણી વિતરણ, દુષિત પાણી વિતરણ, પાઇપલાઇન લીકેજ, પાણી નહી મળતુ હોવાની વગેરે પ્રકારની પાણી સંદર્ભની ૧૭૭૨ ફરિયાદો નોંધાઇ હતી.

આ ઉપરાંત કોરોના સંદર્ભની ૧૭૧, સીટી બસની ૨૮, ભૂગર્ભ ગટરની ૪૨૫૨, રસ્તા પર દબાણોની ૯૫, બગીચાની ૩૮, ડંકી બંધ હોવાની ૪૫ વગેરે સહિત કુલ ૧૫૧૨૯ ફરિયાદો છેલ્લા ૨૫ દિવસમાં નોંધાઇ છે અને તે પૈકી ૯૮૨૫નો ઉકેલ આવી ગયો છે. જ્યારે ૨૩૧૯ ફરિયાદો પેન્ડીંગ છે.

(2:55 pm IST)