Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

રાજયની કોવિડ હોસ્પીટલોમાં એક પછી એક અગ્નિકાંડ છતાં સરકાર સુધરતી નથીઃ કોંગ્રેસ

ઉદય કોવિડ હોસ્પીટલ અગ્નિકાંડમાં પના જીવ ગયા છે ત્યારે વિજ કનેકશન, હોસ્પીટલને મંજૂરી, ફાયર એન. ઓ. સી. સહિતની બાબતોમાં રાજકિય દબાણ : હોવાની ગંધઃ કોવિડ હોસ્પીટલોનાં ટ્રસ્ટીઓ ભાજપ ડોકટર સેલનાં હોદેદારો છેઃ અશોક ડાંગર, મહેશ રાજપૂત, વશરામ સાગઠિયા, ગાયત્રીબાનાં આક્ષેપો : મૃતકોને સરકાર રપ લાખ આપે તેવી માંગ

રાજકોટ તા. ૨૭ : શહેરમાં ગઇ રાત્રે ઉદય કોવિડ હોસ્પિટલમાં ભયાનક અગ્નિકાંડ સર્જાતા ૫ વ્યકિતઓએ જીવ ગુમાવ્યાની ઘટના અંગે શહેર કોંગ્રેસ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજી રાજ્યમાં એક પછી એક કોવિડ હોસ્પિટલો સળગી રહી હોવા છતાં સરકાર સુધરતી નહી હોવાના આક્ષેપો કરાયા હતા.

શહેર કોંગ્રેસ સમિતિની પ્રેસ કોન્ફરન્સમાં શહેર પ્રમુખ અશોક ડાંગર સહિતના હોદ્દેદારોએ આક્ષેપો કરી જણાવ્યું છે કે તા.૨૭/૧૧/૨૦૨૦ના રોજ મધ્યરાત્રીએ ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલના ICUમાં આગ લાગી હતી જેમાં કુલ ૩૩ દર્દીઓ દાખલ હતા અને આ હોસ્પિટલના ICUમાં ૧૧ દર્દીઓ સારવાર મેળવી રહ્યા હતા અને ૨૨ દર્દીઓ જનરલ વોર્ડમાં કોવીડ-૧૯ની ટ્રીટમેન્ટ મેળવી રહ્યા હતા. આ બનાવ બન્યો ત્યારે ICUમાં  રહેલા ૧૧ દર્દીઓમાંથી ૫ દર્દીઓ પૈકી રામશીભાઈ, નીતિનભાઈ બદાણી, રસિકલાલ અગ્રવાલ, સંજયભાઈ રાઠોડ અને કેશુભાઈ અકબરીનું ICUમાં  આગ લાગવાથી મૃત્યુ થયું હતું તેમજ બાકીના દર્દીઓને ગોકુલ હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈજવામાં આવ્યા હતા.

જાણવા મળ્યા મુજબ PGVCLનું ૧૧ કેવી નું કનેકશન ગેરકાયદેસર રીતે મેળવેલું હતું કે કેમ ? જેની તપાસ થવી જોઈએ. ૧૧ કેવીનો લોડ ઉપાડી શકે તેવું વાયરિંગ હતું કે કેમ ?

ઉદય શિવાનંદ મિશનના ટ્રસ્ટીઓ દ્વારા જણાવ્યા મુજબ કોવીડ હોસ્પિટલ ખોલવા માટે કલેકટરશ્રીએ અમોને પ્રેશર કરેલ અને તે પણ ગોકુલ હોસ્પિટલને જ આપવી તેવું ટ્રસ્ટીશ્રીએ જણાવેલ છે તો અમારો પ્રશ્ન છે કે કલેકટરશ્રી ઉપર સરકારમાંથી કોનું પ્રેસર આવ્યું ? તેવું સ્પષ્ટતાપૂર્વક કલેકટરશ્રી જણાવે અને આવીજ રીતે દોશી હોસ્પિટલને અને તેના ટ્રસ્ટીઓને જણાવ્યું હતું કે તમોએ આપની હોસ્પિટલની સામેની ભાજપના આગેવાનની જ હોટેલમાં કોવીડ હોસ્પિટલ ખોલવા અમો મંજૂરી આપીશું ત્યારબાદ જ દોશી હોસ્પિટલને મંજૂરી આપેલ હતી. ગોકુલ હોસ્પિટલના ડોકટર - માલિક એ ભાજપના ડોકટર સેલના હોદ્દેદાર છે તેથી આ બંને હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવેલી.

ઘટના અનુસંધાને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પૂર્વ શહેર પ્રમુખ મહેશભાઈ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, ડો.હેમાંગભાઈ વસાવડા, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી પ્રદીપભાઈ ત્રિવેદી, અશોકસિંહ વાઘેલા સહિતના તાબડતોબ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા અને આખા બનાવની જાણકારી મેળવી તેમજ દર્દીઓને સારવાર આપવામાં કોઈપણ કચાસ ન રહે અને દર્દીઓને તમામ પ્રકારની સારવાર ફ્રી આપવાની માંગણી કરી છે. અને જે દર્દીઓના મૃત્યુ થયા છે.

(3:37 pm IST)