Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

કોરોના મૃતકોના ઓટોપ્સીમાં મોટો ઘટસ્ફોટ : દર્દીંનાં ફેફસાં પથ્થર બની ગયા

રાજકોટમાં કોરોનાના મૃતદેહોની ઓટોપ્સીની મંજૂરી : અત્યાર સુધીમાં 6 ઓટોપ્સી થઈ:ટીબીમાં ફેફસાનો ઉપરનો ભાગ અને ન્યુમોનિયમ નીચેનો ભાગ પથ્થર બને જયારે કોવીડ દર્દીના ફેફસાનો આખેઆખો ભાગ પથ્થર

રાજકોટ :ભારત સહીત સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે ગુજરાત સરકારે રાજકોટમાં કોરોનાના મૃતદેહોની ઓટોપ્સી કરવાની મંજૂરી આપી છે. રાજ્યમાં એક માત્ર રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગને કોરોનાના મૃતદેહોની ઓટોપ્સી કરવાની મંજૂરી અપાઈ છે અને અત્યાર સુધીમાં 6 ઓટોપ્સી થઈ ચૂકી છે. જેમાં મૃતકોના પોસ્ટમોર્ટમમાં મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં પ્રાથમિક તારણમાં એવું સામે આવ્યું છે કે, કોવિડ દર્દીના ફેફસાં પથ્થર બની જાય છે.

કોરોનાની હજી સુધી કોઇ જ વેક્સીન નથી શોધાઇ જેને કારણે તેનું પોસ્ટમોર્ટમ કરીને તેની અસર જાણવાની મંજૂરી નથી અપાતી. છતાં આ જોખમ લેવા પાછળનું કારણ શરીરમાં કોરોનાથી થતી અસરોનો અભ્યાસ કરીને સારવાર પદ્ધતિમાં સુધારો લાવવાનો છે. આ અંગેના પ્રાથમિક તારણમાં એવું સામે આવ્યું છે કે, “કોવિડ દર્દીના ફેફસાં પથ્થર બની જાય છે. ટીબીમાં ફેફસાંનો ઉપરનો ભાગ પથ્થર બનતો હોય છે. જ્યારે ન્યુમોનિયામાં નીચેનો ભાગ પથ્થર બની જતો હોય છે. પરંતુ કોરોનામાં તો ફેફસાંનો આખે આખો ભાગ પથ્થર બની જાય છે. ફેફસામાં ફાઈબ્રોસિસ ખૂબ વધી જાય છે. જેનાં કારણે મૃતદેહમાંથી ફેફસાં બહાર કાઢતા ફેફસા જાણે કે પથ્થર હોય તેવું લાગતું હોય છે.”

ફોરેન્સિક મેડિસિન વિભાગના ડીન ડૉ. હેતલ ક્યાડાએ જણાવ્યું કે, “હજુ રિસર્ચ શરૂ કરવા જેટલાં પરીક્ષણ નથી થયાં. પરંતુ એક તારણ એવું નીકળ્યું છે કે કોરોના વાયરસને કારણે ફેફસાંમાં ફાઈબ્રોસિસ ખૂબ વધી જાય છે. જેને કારણે બોડીમાંથી ફેફસાં નીકાળ્યાં ત્યારે જાણે કે ફેફસાંને બદલે પથ્થર ઉપાડતા હોઇએ તેવું લાગતું હતું. ફાઈબ્રોસિસ ટી. બી. અને ન્યુમોનિયામાં પણ થાય છે. જો કે, એ ઉપર અને નીચેના ભાગમાં જ થાય છે પણ કોરોનામાં તો બધી જગ્યાએ ફાઈબ્રોસિસ થઈ ગયું હતું. હજુ આ તો માત્ર ઓટોપ્સી દરમિયાન જોવા મળેલું છે. સાચું કારણ તો રિસર્ચ કર્યા બાદ જ ખ્યાલ આવશે.

જો કે ઓટોપ્સીથી નક્કર નિષ્કર્ષ સુધી આવવા માટે સિવિલમાં આશરે 20 મૃતદેહોનું પરીક્ષણ કરાશે અને તેનાં સેમ્પલ લઈને સંશોધન બાદ તારણો બહાર પડાશે. તબીબોએ જણાવ્યું હતું કે, “આ રિસર્ચથી કોરોનાના દર્દીને બચાવવા કેવી સારવાર આપવી તે અંગે અમે ઉપયોગી તારણો આપી શકીશું તેવી અમને આશા છે. આજ સુધીમાં 6 મૃતદેહોની ઓટોપ્સી થઈ છે.”ronavirus autopsy)

ફેફસાંમાં પ્રવાહી જામી જવાથી ફેફસાંની નળીઓમાં ગઠ્ઠા થઇ જાય છે અને ફેફસાં સ્થિતિ સ્થાપકતા ગુમાવી કઠણ બની જાય છે, જેને ફાઈબ્રોસિસ કહે છે. આ કારણે ફેફસાંનો રંગ બદલાઇ જાય છે અને ક્યારેક એમાં કાણાં પણ પડી જાય છે.

નોંધનીય છે કે ફેફસાંના પાંચ ખંડ હોય છે. જેમાં ડાબી બાજુ 2 અને જમણી બાજુ 3 ખંડ હોય છે. સામાન્ય રીતે ફાઈબ્રોસિસ ડાબી બાજુ વધારે હોય છે. ટી.બી.ના દર્દીઓમાં ફેફસાંના ઉપરના ભાગમાં ફાઈબ્રોસિસ થાય છે, જ્યારે ન્યુમોનિયામાં ફેફસાંના નીચેના ભાગમાં ફાઈબ્રોસિસ હોય છે પરંતુ અહીં કોરોનાના દર્દીઓમાં પાંચેય ખંડમાં ફાઈબ્રોસિસ જોવા મળ્યું હતું.

(11:17 am IST)