Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

'નાલે અલખજો બેડો પાર' : કાલે સંત કંવરરામ શહીદદિન

જેમને ભય નથી, સ્વાર્થ નથી, બીજાને દુઃખે દુઃખી થવું જેમને સહજ છે તે સંત. પ્રાણી માત્રની સેવા ઇશ્વર સેવા સમજી સર્વસ્વ સમાજ અને દુનિયાના કલ્યાણ અર્થે સમર્પિત કરનાર આવા એક પવિત્ર સાક્ષાત્કારી સંત એટલે સંત કંવરરામ!

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સખ્ખર જિલ્લાના જરવાડ ગામે કરીયાણાની દુકાન ચલાવતા તારાચંદભાઇ અને માતા તિરથબાઇના ઘેર તા. ૧૩-૪-૧૮૮૫ ના સંત કંવરરામનો જન્મ થયો હતો. જન્મ સમયે તેના મુખ પર એટલું બધુ તેજ હતુ કે જે કોઇ બાળકને જોતા તે તેમનું દૈદિપ્યમાનરૂપ જોતા જ રહી જતા. બાળ કંવરરામ સુતા હોય તો જાણે કોઇ યોગી સમાધિમાં લીન હોય તેવું લાગતું તેઓ બાળપણથી જ ઇશ્વરમય જીવન જીવતા હતા. સામાન્ય બાળકો કરતા કંઇક અનોખા હતા.

બાળવયે જ ગરીબો, પશુ-પંખીઓ પ્રત્યે ખુબ લાગણી અને કરૂણતા રાખતા હતા. તેઓને જયોર મીઠાઇ કે અન્ય સારી ખાવાની વસ્તુ મળતી ત્યારે હંમેશા બધાને વહેંચીને ખાતા. તેઓ ઘણી વખત પોતાની કરીયાણાની દુકાને બેઠા હોય અને કોઇ ગરીબ વ્યકિત આવે તો મફત પાકુ સિધુ આપી દેતા. સુફી ભજનો પ્રત્યે પણ તેમને લગાવ વધ્યો હતો. આવા ભજનો ગાતા ગાતા જ પરમેશ્વરની કૃપા થઇ અને તેમનો મેળાપ આધ્યાત્મિક સંત સાંઇ સતરામદાસ સાથે થયો. બસ જાણે મોટી ઓળખ થઇ હોય તેમ તેમને ગુરૂ ધારણ કરી લીધા. પછી તો આ ગુરૂ શિષ્યની જોડી એવી જામી ગઇ. લોકો કહેતા કે આ બલેડી પગમાં ઘુંઘરૂ બાંધી જયારે સુફી ભજનો ગાતા ત્યારે તેમને સમય અને સ્થળનું ભાન ન રહેતું. ભગવાનમાં લીન થઇ જતા. ભજન દરમિયાન મળતી તમામ આવક ગરીબ, દીન દુઃખીયાઓ માટે વાપરી નાખતા.

ભજનના આવા કાર્યક્રમ દરમિયાન એક ગરીબ સ્ત્રી મૃત બાળકને લઇને આવી અને તેને સજીવન કરવામાં આવ્યાના કિસ્સાએ સૌને અચંબિત કરી દીધેલ. અન્ય એક કિસ્સામાં ફકીર સીધો સામાન લેવા આવ્યા. સંત કંવરરામ ખુબ થાકેલા હોય લોકોએ તે ફકીરને ભગાડી દીધો. પણ સંત કંવરરામે એ ફકીરને પ્રેમથી બોલાવ્યો. તેના માટે ભજન ગાયા અને મદદ પણ કરી. આવા તો અનેક કિસ્સા બન્યા.

દેશ અને ગરીબ માટે જીવન જીવતા હિન્દુ મુસ્લિમનો બહોળો ચાહક વર્ગ ધરાવતા સંત કંવરરામની પ્રવૃત્તિથી કેટલાક કટ્ટરવાદીઓના પેટમાં તેલ રેડાયુ અને ઇ.સ. ૧૯૩૯ ની ૧ નવેમ્બરના ગુરૂવારે રાત્રે સિંધ પ્રાંતના રૂક રેલ્વે સ્ટેશન પર તેમના પર ગોળી છોડી હત્યા કરી નાખવામાં આવી. પ્રાણ છોડતી વખતે તેમના મુખમાંથી નિકળેલા છેલ્લા શબ્દો 'હે રામ!' હતા.

સંત કંવરરામના અનેક શિષ્યો અને અનુયાયીઓ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. તેમના નામે ભારતભરમાં સિંધી સમાજ દ્વારા ટ્રસ્ટ, મંડળ, સોસાયટી, હોલ, મંદિરો બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં તેમના નામની ટપાલ ટીકીટ પણ બહાર પડી હતી. આવા સંતને કોટી કોટી વંદન!

રાજકોટના ઝુલેલાલ મંદિરે કાલે ભજન સત્સંગ

રાજકોટ : સંત કંવરરામ શહીદદિન નિમિતે કાલે તા. ૧ ના રવિવારે સવારે ૧૦ થી ૧ રાજકોટના સિંધી કોલોની ખાતેના ઝુલેલાલ મંદિરે ભજન-સત્સંગ-આરતી-પલ્લવ-અરદાસ અને પ્રસાદ વિતરણ થશે. જયારે સાંજે ૬ વાગ્યે સંત કંવરરામ ચોક, ગાંધીગ્રામ ખાતે ર મીનીટ મૌન પાડી શ્રધ્ધાંજલી અર્પણ કરાશે. 

- પરસોતમ પમનાણી

રાજકોટ, મો.૯૩૨૮૨ ૩૧૨૪૭

(2:33 pm IST)