રાજકોટ
News of Monday, 14th September 2020

રાજ્ય સરકાર ૧૦ લાખ મહિલાઓને શૂન્ય ટકા વ્યાજે લોન આપશે

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાને આવકારતા મેયર બિનાબેન આચાર્ય

રાજકોટ તા. ૧૪ : રાજય સરકાર દ્વારા ગુજરાત રાજયના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ૧૦ લાખ મહિલાઓને શૂન્ય ટકા વ્યાજે લોન ધિરાણ આપવા માટે 'મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના' શરૂ કરવામાં આવનાર છે. આ યોજના બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મેયર બિનાબેન આચાર્યએ આભાર વ્યકત કર્યો હતો.

આ અંગે બિનાબેનએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસની મહામારીમાં અનેક લોકોને આર્થિક રીતે વિકટ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. રાજય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવનાર આ યોજના ખૂબ જ સરાહનીય છે. મહિલા જૂથને ૧ લાખ રૂપિયાનું લોન ધિરાણ પ્રાપ્ત થઇ શકશે. આગામી તા.૧૭ સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષગાંઠના દિવસે આ યોજનાનો પ્રારંભ કરવામાં આવશે. આ યોજનાનો લાભ છેવાડાના અંતરિયાળ વિસ્તારોની માતા-બહેનો સુધી મળી રહે તે માટે વધુને વધુ બહેનોના જૂથ બનાવવાના યોજનાના ભાગરૂપે રાજય સરકારે પ્રોત્સાહનો પણ જાહેર કર્યા છે.

આ યોજના માટે રાજય સરકાર દ્વારા રૂ.૧૭૫ કરોડનું બજેટ ફાળવવામાં આવેલ છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત રાજયના ગ્રામીણ ક્ષેત્રમાં ૫૦ હજાર અને શહેરી વિસ્તારમાં ૫૦ હજાર એમ કુલ ૧ લાખ જોઇન્ટ લાયાબિલિટી એન્ડ અર્નિંગ ગ્રુપ-મહિલા જૂથની રચના કરાશે. આવા પ્રત્યેક જૂથમાં ૧૦ મહિલાઓને સહભાગી બનાવીને કુલ ૧૦ લાખ બહેનોને કુલ રૂ.૧ હજાર કરોડ સુધીનું ધિરાણ આ યોજના હેઠળ તબક્કાવાર આપવાનું રાજય સરકારશ્રી દ્વારા આયોજન છે.

(3:44 pm IST)