સાધુ વાસવાણી રોડ ઉપરના 'ડબલ મર્ડર' કેસના બાળ આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી
રાજકોટ, તા.૧પઃ ડબલ મર્ડર કેસના બાળઆરોપીના ચાર્જશીટ બાદના જામીન નામંજુર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.
બનાવની હકીકત એ રીતે કે સાલ ર૦૧૭ની સાલમાં મુરલીધર ચોક, સાધુવાસવાણી રોડ ઉપર ભરવાડ કાનાભાઇ ગગજીભાઇ તથા ગગજીભાઇ જોધાભાઇ સોહલા ઉપર બાળઆરોપી મહમદહુસેન ઉર્ફે રાજા જાવેદભાઇ કામદાર વિગેરેએ માથાકુટ કરી છરી તથા અન્ય ભયંકર હથીયારથી હુમલો કરેલ અને બન્ને ભરવાડના મૃત્યુ થયેલા અને બનાવ બેવડી હત્યામાં નોંધાયેલ.
આ બનાવની ફરીયાદ વિપુલ ગગજીભાઇએ ગાંધીગ્રામ-ર યુનિ. પોલીસ સ્ટેશનમાં કરેલી. બાદ આ કામના આરોપીએ ચાર્જશીટ બાદ જામીન પર મુકત થવા અરજી કરેલી જે જામીન અરજી સામે સરકારી વકીલ આબીદ સોસને બનાવ અંગેની ગંભીરતા, આરોપીનો ખુનનો ઇરાદો અને બનાવ ડબલ મર્ડરનો હોય તેમજ હથીયાર મુદામાલવાળા કપડા, સાહેદોના નિવેદનથી બનાવને સમર્થન મળતું હોય તેમજ કેસ હજુ ચાલવાનો હોય તે મતલબની ન્યાય કોર્ટ સમક્ષ દલીલો કરેલી. આ દલીલને માન્ય રાખી ડીસ્ટ્રીકટ કોર્ટે એ બાળઆરોપીની જામીન અરજી નામંજુર કરેલી હતી.
આ કામમાં સરકાર પક્ષે સરકારી વકીલ આબીદ સોસન રોકાયેલ હતાં.