ગર્ભ પરિક્ષણમાં પકડાયેલી ત્રિપુટી રિમાન્ડ પરઃ ગર્ભપાત કરનાર ડોકટરને ઝડપી લેવા દોડધામ
રાજકોટ તા. ૧૬: મવડીના બાપા સિતારામ ચોકથી આગળ આવેલા હરિઓમ એકયુપ્રેશર એન્ડ નેચરોથેરાપી સેન્ટર નામના કિલનીકની આડમાં ગેરકાયદેસર રીતે નાણા વસુલી ગર્ભપરિક્ષણ કરતાં ત્રણ શખ્સોને એસઓજીની ટીમે દબોચી લીધા હતાં. આ ત્રણેયના બે દિવસના રિમાન્ડ મંજુર થયા છે. ત્રણેય પરિક્ષણ કરી આપવા ઉપરાંત જો કોખમાં દિકરી હોય અને તેનો ગર્ભપાત કરવો હોય તો તે પણ કરાવી આપતાં હતાં. ગર્ભપાત કરી આપનાર ડોકટરની માહિતી એસઓજીને મળી જતાં ડોકટર પણ હવે હાથવેંતમાં છે.
એસઓજીની ટીમે અમિત પ્રવિણભાઇ થિયાદ (રજપૂત) (ઉ.વ.૩૯-રહે. ગોકુલધામ પાસે ગિતાંજલી સોસાયટી-૩), દિનેશ મોહનભાઇ વણોલ (રજપૂત) (ઉ.વ.૩૬-રહે. કૃષ્ણનગર, ગુરૂપ્રસાદ ચોક અલંકાર એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૨) તથા અવેશ રફિકભાઇ મન્સુરી (પીંજારા) (ઉ.વ.૩૨-રહે. અંધારીયાવાડ, લઘાસાબાવાની દરગાહ પાસે ધોરાજી)ને પકડી લીધા હતાં. આ ત્રણેય ખાનગી હોસ્પિટલોમાં વર્ષોનો કમ્પાઉન્ડરનો અનુભવ ધરાવતાં હોઇ કેટલાક મહિનાથી નેપાળથી સોનોગ્રાફી મશીન લાવી ગર્ભપરિક્ષણના ગોરખધંધા આદર્યા હતાં.
બાર હજારમાં ગર્ભ પરિક્ષણ અને વીસ હજારમાં ગર્ભપાતનો ગોરખધંધો આ ત્રણેય કરતાં હતાં. વિશેષ પુછતાછ કરવાની હોઇ રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાતાં ત્રણેયના બે દિવસના રિમાન્ડ મળતાં વિશેષ તપાસ શરૂ થઇ છે. શહેરની ભાગોળે રહેતાં એક ડોકટરની સંડોવણી સામે આવી રહી હોઇ તેને દબોચી લેવા તજવીજ શરૂ થઇ છે.
પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસઓજી પીઆઇ આર.વાય. રાવલની સુચના મુજબ પીએસઆઇ એમ. એસ. અન્સારી, હેડકોન્સ. ઝહીરખાન ખફીફ, કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, અઝહરૂદ્દીન બુખારી, કૃષ્ણદેવસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ, અનિલસિંહ ગોહિલ અને સોનાબેન મુળીયા વિશેષ તપાસ કરે છે.