મ. ન. પા.ની કચેરીમાં કોરોનાં કહેરથી સન્નાટો
પદાધિકારી-કોર્પોરેટરો-અધિકારીઓ કોરોનાં સંક્રમતિ થવા લાગતાં જબરો ફફડાટઃ દરેક વિભાગો ખાલી-ખાલીઃ અરજદારો પણ નથી ફરકતા
રાજકોટ તા. ૧૬ :.. શહેરને કોરોનાથી બચાવવા માટે છેલ્લા ૭-૭ મહીનાથી દિવસ - રાત ફરજ બજાવતુ મ્યુ. કોર્પોરેશનનું તંત્ર હવે કોરોનાં ગ્રસ્ત થવા લાગ્યું છે. જેનાં કારણે મ. ન. પા.ની કચેરીઓમાં સન્નાટો છવાયો છે.
સતત કોરોનાની કામગીરીમાં ફરજ બજાવાતાં ડે. કમિશનર, આસીસ્ટન્ટ, કમિશનર, કોર્પોરેટરો, મેયર, તેમજ વિવિધ વિભાગનાં કર્મચારીઓ, સફાઇ કામદારો સહિત ર૦૦ થી વધુ મ્યુનિસીપલ કર્મચારીઓ કોરોનાં સંક્રમતિ થયા છે. જેનાં કારણે હવે મ્યુનિસીપલ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં મોટા ભાગની ઓફીસો ખાલી રહે છે.
દરેક વિભાગમાં માંડ - બે ચાર કર્મચારીઓ હોય છે. ભાજપ-કોંગ્રેસનાં કાર્યાલયો, મેયર સહિતનાં પદાધિકારીઓનાં કાર્યાલયોમાં સન્નાટો છવાયેલો રહે છે. અરજદારો પણ ફરકતા નથી.
એટલું જ નહી અરજદારો પણ કોર્પોરેશન કચેરીએ જતાં ડરી રહ્યા છે. આથી અહીં અરજદારો પણ અત્યંત નજીવી સંખ્યામાં આવી રહ્યા છે.