પ્લાઝમા ડોનેટ કરવાથી રોગપ્રતિકારક શકિતમાં કોઇ પ્રકારનો ફેર પડતો નથીઃડો.કૃપાલ પૂજારા
લોહીમાં એન્ટિબોડીઝનો ઘટાડો નથી થતો, પરંતુ નવા બનતાં રહે છેઃ પ્લાઝમા ડોનેટ ન કરો તો અમુક મહિના બાદ એન્ટિબોડીઝ નિષ્ક્રીય થઇ જાય : સિવિલ હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેશન માટે ૨૪ કલાક માટે અલગ ગ્રીન ઝોન કાર્યરતઃ હાલમાં રોજ ૪ થી ૫ પ્લાઝમા ડોનેટ થાય છેઃ ડો. રિધ્ધી મણિયાર : લોહીમાં એન્ટિબોડીઝનો ઘટાડો નથી થતો, પરંતુ નવા બનતાં રહે છેઃ પ્લાઝમા ડોનેટ ન કરો તો અમુક મહિના બાદ એન્ટિબોડીઝ નિષ્ક્રીય થઇ જા
જે વ્યકિતને કોરોના થયો હોય અને સારવાર બાદ કોરોનામુકત થયા પછી ૨૮ દિવસ પછી માનવ શરીરમાં એન્ટિબોડીઝ તૈયાર થાય છે. આ એન્ટિબોડીઝ અન્ય કોઈ કોરોનાના દર્દીઓને આપવામાં આવે તો આ એન્ટિબોડીઝ ૨૪ થી ૪૮ કલાકમાં દર્દીને સારવારમા મદદરૂપ બનવા લાગે છે. રાજકોટ સિવિલ ખાતે પ્લાઝમા ડોનેશન માટે ખાસ અલાયદો ગ્રીન ઝોન છે, માટે પ્લાઝમા ડોનેશન બિલકુલ સુરક્ષિત છે. સિવિલ હોસ્પિટલ ખાતે ૨૪ કલાક પ્લાઝમા આપવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનુ રાજકોટ સિવિલના પેથોલોજી ડિપાર્ટમેન્ટના ડો. રિદ્ઘિ મણિયાર જણાવે છે.
પ્લાઝમા ડોનેશન વિભાગના હેડ ડો. કૃપાલ પુજારા જણાવે છે કે, હજુ પણ પ્લાઝમા ડોનેશન અંગે લોકોના મનમાં અનેક પ્રશ્નો છે. કેટલીક ગેરસમજણના કારણે લોકો પ્લાઝમા ડોનેશન કરતાં હિચકિચાટ અનુભવે છે. પ્લાઝમા ડોનેશન લોહી આપવા જેટલું જ સરળ અને સ્વાસ્થ્યપ્રદ છે. આ સંબંધી કેટલાક ખુલાસા અને સમજણ ડો. કૃપાલ દ્વારા કરવામાં આવી છે.
પ્લાઝમા કોણ આપી શકે ?
જે લોકોને કોરોના બાદ સ્વસ્થ થયાને ૨૮ દિવસ થઈ ગયા હોય તે તમામ લોકો પ્લાઝમા આપી શકે.
શું પ્લાઝમા ડોનેટ કરવાથી શરીરમાં કોઈ નુકસાન થઈ શકે ?
પ્લાઝમા ડોનેટ કરવાથી શરીરમાં નવા એન્ટિબોડીઝ તૈયાર થતા રહે છે. પ્લાઝમા ડોનેટ કરવાથી ફરીથી કોરોના થશે તે વાત બિલકુલ ખોટી છે. તેનાથી રોગપ્રતિકારક શકિતમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી.
પ્લાઝમા ડોનેશન કરવાથી કોઈ ઇન્ફેકશનનો ભય રહે છે ?
પ્લાઝમા ડોનેશન પ્રોસેસ કમ્પ્લીટલી ડિસ્પોઝેબલ કીટ દ્વારા કરવામાં આવે છે, જેથી કોઈ પણ પ્રકારનો ચેપ લાગવાનો ભય રહેતો નથી.
બીપી ડાયાબિટીસના દર્દી પ્લાઝમા આપી શકે ?
હા, બિલકુલ. જે લોકોનું બી.પી., ડાયાબિટીસ નોર્મલ રહેતું હોય, જેઓની દવામાં કોઈ બદલાવ ન આવેલા હોય તેમજ તેઓ ઇન્જેકશન લેતા ન હોય તેવા પ્લાઝમા ડોનરનું ખાસ સ્ક્રીનિંગ કર્યા બાદ જ તેમનું પ્લાઝમા લેવામાં આવે છે.
શું એક વાર પ્લાઝમા આપ્યા બાદ બીજી વાર ડોનેટ કરી શકાય?
એક વાર પ્લાઝમા આપ્યા બાદ આશરે ૧૫ દિવસ બાદ ફરીથી કસામાન્ય વ્યકિત પ્લાઝમા ડોનેટ કરી શકે છે. આટલા સમયમાં તેમના શરીરમાં નવા એન્ટિબોડીઝ તૈયાર થઈ જતા હોય છે.
પ્લાઝમા ડોનેટ ન કરે તો એન્ટીબોડીઝ કેટલો સમય રહે છે ?
પ્લાઝમા ડોનેટ ન કરે તો પણ અમુક સમય બાદ એન્ટિબોડીઝ બનવાનું બંધ થઈ જાય છે. જો કે તેનો સમયગાળો નિયત હોતો નથી.
ડો. ક્રૃપાલ અને ડો. રિદ્ઘિ મણિયાર લોકોને ખાસ અપીલ કરતા જણાવે છે કે શરીરમાં એન્ટિબોડીઝ બને તેને અન્ય કોઈને આપવાથી આપણા શરીરમાં કોઈ નુકશાન થતું નથી તેમજ નવા એન્ટિબોડીઝ સતત બનતા રહે રહેતા હોવાથી કોઈ પણ વ્યકિત એકથી વધુ વખત પ્લાઝમા ડોનેટ કરી શકે છે. જરૂરિયાતમંદ દર્દીઓને પ્લાઝમા નિઃશુલ્ક પૂરું પાડવામાં આવે છે. પ્લાઝમા ડોનરના સંબંધિતોને જરૂર પડ્યે પ્લાઝમાની વ્યવસ્થા સિવિલ દ્વારા નિઃશુલ્ક કરી આપવામાં આવે છે.
હાલ સિવિલ હોસ્પિટલ ખાતે રોજના ૪ થી ૫ લોકો પ્લાઝમા ડોનેટ કરવા આવતા હોવાનું ડો. રિદ્ઘિ મણિયાર જણાવે છે. તેમજ પ્લાઝમા ડિપાર્ટમેન્ટ ડોનેશન માટે ૨૪ કલાક ખુલ્લો રહેતો હોઈ લોકો તેમના સમયની અનુકૂળતાએ આપવા આવી શકે છે.
રાજકોટ સિવિલ ખાતે પ્લાઝમા આપી રહેલા પરેશભાઈ પરમાર લોકોને અપીલ કરે છે કે ડોકટર દ્વારા ઉચ્ચારવામાં આવેલી વાત તદ્દન સત્ય છે, મને પણ પ્લાઝમા આપ્યા પછી કોઈ શારીરિક કે અન્ય કોઈ તકલીફ થઈ નથી. પ્લાઝમા ડોનેટ કરતા તમામ લોકોનો અનુભવ એક સમાન રહ્યો છે. જે રીતે આપણે લોહીનું દાન કરીએ છીએ તે જ રીતે પ્લાઝમા આપી માત્ર ૩૦ થી ૪૫ મિનિટની પ્લાઝમા ડોનેશન પ્રોસેસ થકી ઈશ્વરે આપેલ કુદરતી સંજીવની અન્ય બે લોકોને સાજા થવામા મદદરૂપ બની શકાય છે.