ફેફસામાં ઇન્ફેકશન, સખ્ત તાવ છતાં કોરોનાને હરાવતાં બિરેનભાઇ ગણાત્રા
કોરોનાને હંફાવી પરિવારના સભ્યો સ્વગૃહે આવ્યા
સિવિલ હોસ્પિટલ તેમજ સમરસ સંકુલ ખાતેથી ૧૪ દિવસની સઘન સારવાર બાદ કોરોના મુકત થઈ ઘરે પરત ફરનારા બીરેનભાઈ ગણાત્રાએ પોતાના ૧૪ દિવસોના અનુભવો વર્ણવતાં કહ્યું હતું કે, 'ઘરમાં મારા મમ્મી, પત્ની અને દીકરી સહિત અમને ચારેય સભ્યોને કોરોના પોઝિટિવ આવતાં પ્રથમ તો હું ચિંતામાં ડૂબી ગયો પરંતુ બીજી જ ક્ષણે અમે સૌએ વિચાર કર્યો કે, આપણે કોરોનાથી ડરવાનું નથી, પરંતુ મક્કમ મનોબળ સાથે આપણે તેને હરાવવાનો જ છે.'
સિવિલ હોસ્પિટલમાં સ-પરિવાર દાખલ થયેલા બીરેનભાઈએ ત્યાની સારવાર વિશે જણાવતાં ઉમેર્યું હતું કે, 'મને કારણે ફેફસામાં ઇન્ફેકશન થઈ ગયું હતું, જેથી મને ૭ દિવસ માટે સિવિલ ખાતે અને ત્યારબાદ ૭ દિવસ સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર આપવામાં આવી જેનાં પરિણામે હવે હું સ્વસ્થ છું. સરકારી સેવાનો લાભ મેળવ્યા બાદ હું એટલું જરૂરથી કહીશ કે, અમને સિવિલ હોસ્પિટલ તેમજ સમરસ સંકુલમાં જેવી શ્રેષ્ઠ અને સુયોગ્ય સારવાર મળી છે એવી સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં ઢગલો રૂપિયા ખર્ચીને પણ ન મળી શકી હોત.' બીરેનભાઈ અને તેમનાં પરિવાર સહિત અનેક લોકો કોરોનાને હરાવી અને સ્વસ્થ બની કહી રહ્યા છે - કોરોનાના હાઉ કરતાં સકારાત્મકતાનો ભાવ હશે તો ઝડપથી સાજા થઈ જશો.