દર્દીઓનો અમારા પ્રત્યેનો વિશ્વાસ અમારી સારવારનેવધુ સફળ બનાવે છેઃ ડો. ખ્યાતિ જેઠવા
એક વર્ષના બાળકના માતા એવા આ તબિબ નિષ્ઠાપુર્વક બજાવે છે સિવિલ કોવિડમાં ફરજ
રાજકોટ : કોરાના મહામારીના સંક્રમણકાળમાં સમગ્ર વિશ્વની સુખાકારી માટે આરોગ્ય ક્ષેત્રે કાર્યરત તબીબો, નર્સ અને પેરામેડીકલ સ્ટાફ એ લોકોની આરોગ્ય સુખાકારી માટે આધારસ્તંભ સમાન કાર્ય કરી રહયાં છે. કોરોના મહામારીને નાથવા આ તમામ આરોગ્ય કર્મીઓ તેમની પરિવારીક ફરજ કરતા પણ વિશેષ દેશપ્રેમ અને દેશવાસીઓ પ્રત્યેની તેઓની ફરજને પ્રાધાન્ય આપી દિવસ-રાત જોયા વગર સતત કાર્યરત છે.
આવા જ એક આરોગ્યકર્મી છે એનેસ્થેસિયાલોજિસ્ટ ડો.ખ્યાતિબેન જેઠવા.., જે પોતાના એક વર્ષના બાળકથી દુર રહીને સિવિલના કોવિડ વોર્ડમાં કાર્યરત છે. તેઓ સાલસભાવે કહે છે કે, 'અમે દર્દીની ઉંમર અને મેડિકલ હિસ્ટ્રી મુજબ તેને એનેસ્થેસિયાનો ડોઝ આપીએ છીએ, હાલ કોરોનાની મહામારીમાં ખાસ તો અમારે એ ધ્યાન રાખવું પડે છે કે કોરોના સંક્રમિત દર્દીઓને એનેસ્થેસિયા આપતી વખતે તેના મુખમાંથી નીકળતા કોરોનાના સૂક્ષ્મ કણોથી અમે સંક્રમિત ન થઈ જઈએ. અહીં સારવાર માટે આવતા દર્દીઓ કોરોનાગ્રસ્ત હોવાથી તેઓ પરિવારના સભ્યોના અભાવે પારિવારીક એકલતા અનુભવતા હોય છે. અમારી પ્રથમ અને મહત્વપૂર્ણ કામગીરી તેઓને પારિવારીક હુંફ સાથે તેઓનો વિશ્વાસ સંપાદન કરવાની હોય છે. જેથી નિયમિત તપાસ અને સઘન સારાવારમાં તેમનો વધુ સારો સહયોગ સાંપડે છે. દર્દીઓનો અમારા પ્રત્યેનો વિશ્વાસ એ અમારી સારવારને વધુ સફળ બનાવવા માટે અસરકારક પરિબળ સાબિત થાય છે.'