રાજકોટ
News of Friday, 25th September 2020

પ્લાઝમા ડોનેટ એ હાલના સમયની માંગ અને નાગરિક ધર્મ છેઃ ડો. અંકુર પારેખ

આ તબિબ બીજી વખત પ્લાઝમા ડોનેટ કરવા તત્પર

કોરોના વાયરસથી સંક્રમીત દર્દીઓમાં પ્લાઝમા થેરાપી ઘણી અસરકારક સાબિત થઈ રહી છે,ત્યારેકોરોના વાયરસથી સ્વસ્થ બનેલ અનેક લોકો પ્લાઝમા ડોનેટ કરવા માટે આગળ આવી રહ્યા છે. આવા જ એક ડોકટર છે અંકુર પારેખ. તેમણે પ્રથમ વખત પ્લાઝમા ડોનેટ કરવાની સાથે બીજી વખત પણ પ્લાઝમા ડોનેટ કરવાની તત્પરતા દર્શાવી છે. આમ,આ માહામારીમાં અન્યોની જીવનરક્ષાના સેવાયજ્ઞમાં ડો. અંકુર પારેખ જેવા અનેક કર્મયોગીઓ યથાયોગ્ય  આહુતિ આપી રહ્યા છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પાંચ દિવસની સારવાર મેળવી સ્વસ્થ બનેલા ડો. અંકુર પારેખ કહે છેકે,૯ જુલાઈના રોજ મારો કોરોના રિપાર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેથી સિવિલ હોસ્પિટલમાં ઉત્તમ સારવાર મેળવી,એક અઠવાડિયા સુધી હોમ આઈસોલેશનમાં રહ્યા બાદ સ્વસ્થ બન્યો હતો. રાજય સરકારની સારવાર થકી સાજા થયેલા ડોકટર અંકુર પારેખ આરોગ્ય વિભાગના નિસ્વાર્થ કાર્ય દ્વારા સ્વસ્થતા મેળવવાના ઋણને કેમ ચુકવવું તે બાબતે મીઠી મુંઝવણ અનુભવતા હતા. પ્લાઝમા ડોનેશન માટે રાજય સરકાર અને આરોગ્ય વિભાગની અપીલ જોઇને તેમણેઆશરે દોઢેક માસ બાદ પ્લાઝમા ડોનેટ કરી સમાજના ઋણને ચુકવવાનું પ્રેરક કાર્ય કર્યુ છે.

 સિવિલ હોસ્પિટલમા પેથોલોજીસ્ટ તરીકે ફરજ બજાવાત હિરલબેન ચૌહાણ કહે છે કે,કોરોના વાયરસથી સ્વસ્થ બનેલા લોકો ૨૮ દિવસ પછી પ્લાઝમા ડોનેટ કરી શકે છે. પ્લાઝમા ડોનેટ કરવાથી કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી. તેમજ પ્લાઝમા ડોનર માટે સેપરેટ કીટનો ઉપયોગ કરવામા આવે છે જેથી ઈન્ફેકશનનો કે અન્ય કોઈ ભય રહેતો નથી.

(1:26 pm IST)