દીવો બને તે ઘરમાં જ પ્રકાશ પાથરે, દીવાદાંડી બને તે દૂર દૂર પ્રકાશ પાથરેઃ રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ. સા.
પરમ દાર્શનિક પૂજય શ્રી જયંતમુનિ મહારાજ સાહેબની પાંચમી પુણ્યસ્મૃતિએ ગુણ વંદનાવલી અર્પણ
રાજકોટ,તા.૨૬:સમગ્ર ભારતવર્ષના સંત-સતીજીઓમાં અગાધ અને અનુપમ જ્ઞાન સમૃધ્ધિ ધરાવતાં એવા પરમ દાર્શનિક ગોંડલ ગચ્છ શિરોમણિ પૂજય શ્રી જયંતમુનિ મહારાજ સાહેબની ૫મી પુણ્યસ્મૃતિ અવસરે તા. ૨૬ ના દિને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ગુણ વંદનાવલી અર્પણ કરવામાં આવી હતી.
વર્ષો સુધી કાશી-બનારસમાં શાસ્ત્રજ્ઞાન, સંસ્કૃત, પ્રાકૃત આદિ અનેક અનેક વિષયોનો અભ્યાસ કરીને સ્વયંનું અદભૂત જ્ઞાન પ્રાગટ્ય કરવા છતાં પોતાનું સમગ્ર જીવન ઝારખંડ ક્ષેત્રના પછાત વિસ્તારમાં હજારો આદિવાસીઓના જીવનને સંસ્કારિત કરવામાં વ્યતીત કરી દેનારા પરમ દાર્શનિક પૂજય શ્રી જયંતમુનિ મહારાજ સાહેબના ગુણોની અભિવંદના કરતાં પરમ ગુરૂદેવે ફરમાવ્યું હતું કે, જ્ઞાનની પ્રાપ્તિ તો અનેક આત્માઓ કરતાં હોય છે પરંતુ જ્ઞાન સાથે જયારે સેવા ભળે છે ત્યારે અંતરમાંથી જ્ઞાનને પચાવવાની ક્ષમતા પણ પ્રગટ થઈ જતી હોય છે. સાધના કદી સેવા વિના શોભતી નથી. એક આત્મા જયારે દીવો બનીને પ્રકાશ પાથરે છે ત્યારે તે માત્ર એક ઘરને ઉજાળે છે પરંતુ એક આત્મા જયારે દીવાદાંડી બને છે ત્યારે તે દૂર સુદૂર સુધી પ્રકાશ પાથરીને અનેકોના જીવન ઉજાળે છે. અન્ય માટે પોતાનું જીવન સમર્પિત કરીને પરમ ઉપકાર કરનારા આવા મહાપુરુષોના અગાધ ગુણ સાગરમાં ડૂબકી મારીએ છતાં કદી એમના ગુણોને માપી શકાતાં નથી અને આવા ઉપકારી મહાપુરુષોના ઉપકારને જે સદૈવ યાદ કરે છે તે સમાજ ઉન્ન્ત બની જતો હોય છે.
પૂજય શ્રી જયંતમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી હજારો આદિવાસીઓની આંખોનું નિશુલ્ક ઉપચાર કરતી પેટરબાર સ્થિત ચક્ષુ ચિકિત્સાલયના સેવાલક્ષી કાર્યોની પ્રશસ્તિ કરવા સાથે ભાવાંજલિ, શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
વિશેષમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ રવિવાર તા. ૨૮ સવારના ૭.૧૫ કલાકે ૫૦ સંત-સતીજીઓ સાથે શ્રી જુનાગઢ સ્થાનકવાસી જૈન સંઘના આંગણે મંગલ પધરામણી કરશે ત્યારે શ્રી સંદ્યમાં પરમ ગુરુદેવ તેમજ દરેક સંયમી આત્માઓને આવકારવા માટે અનેરો આનંદ અને ઉત્સાહ છવાઈ ગયાં છે.