રાજકોટ
News of Thursday, 28th January 2021

તારા પિયર જતી રહે, તારે રહેવું હોય તો જાતે જ કમાઇને તારૂ કર કહી, ઇશીતાબેન પરમારને ત્રાસ

સુરત કામરેજ રહેતો પતિ બીપીન, અમરેલીના મોટી ગોખરવાળાના સસરા હિંમતભાઇ અને સાસુ ઉષાબેન સામે ગુનો

રાજકોટ તા. ર૮: દોઢસો ફૂટ રોડ શ્રી ગુરૂકૃપા માધવ પાર્કમાં માવતર ધરાવતી મહિલાને ઘરકામ બાબતે મેણાટોણા મારી ઝઘડો કરી સુરત રહેતો પતિ અને અમરેલીના મોટી ગોખરવાળાના સાસુ અને સસરા ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ દોઢસો ફૂટ રોડ પર ગોવર્ધન ચોક પાસે આવેલ શ્રી ગુરૂકૃપા માધવ પાર્ક શેરી નં. ૩ માં માવતરના ઘરે રહેતા ઇશીતાબેન બીપીનભાઇ પરમાર (ઉ.વ.ર૯) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં સુરત કામરેજમાં અમૃતકુંજ ઓપેરા પેલેસની બાજુમાં રહેતો પતિ બીપીન હિંમતભાઇ પરમાર, અમરેલીના મોટી ગોખરવાળામાં રહેતા સસરા હિંમતભાઇ માવજીભાઇ પરમાર અને સાસુ ઉષાબેન પરમારના નામ આપ્યા છે. ઇશીતાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાના ચાર વર્ષ પહેલા અમરેલીના મોટી ગોખરવાળા ગામે રહેતા બીપીન હિંમતભાઇ પરમાર સાથે બીજા લગ્ન થયા હતા. પતિના પણ બીજા લગ્ન છે. લગ્ન બાદ પોતે સંયુકત પરિવારમાં આઠ દિવસ ગોખરવાળા ખાતે રહ્યા ત્યારબાદ પતિના વ્યવસાય માટે પોતે પતિ સાથે સુરતમાં કામરેજ ઓલવડ રોડ અમૃત કુંજ ઓપેરા પેલેસની બાજુમાં રહેવા ગયા હતા ત્યા઼ પતિએ પોતાને બે મહિના સારી રીતે રાખેલ બાદ પતિ વારંવાર શંકાઓ કરી નાની-નાની વાતમાં કહેતા કે 'તું તારા પિયર ચાલી જા આ મારૃં ઘર છે મને તારી કોઇ જરૂર નથી અને તારે રહેવું હોય તો તું જાતે કમાઇને તારૃં કર' તેમ કહી ઝઘડો કરી મારકુટ કરતા હતા. લગ્ન બાદ પોતાનો અને બાળકનો સંપુર્ણ ખર્ચ પોતાના માતા-પિતા આપતા હતા અને મેં લગ્ન પહેલા મારા ભેગા કરેલા પૈસાએ મારા પતિ પોતાની પાસે કોઇ કારણોસર પોતાની પાસે માગતા હતા. પરંતુ પોતાને ઘરસંસાર ચલાવવો હોય જેથી પોતે બધું સહન કરતા હતા. તા. ૧૮-પ-૧૮ના રોજ પોતાને દીકરીનો જન્મ થયા બાદ થોડા દિવસ પછી પતિનું વર્તન બદલતા પોતાની સાથે ઝઘડો કરતા હતા. બાદ પતિને કોઇ અન્ય સ્ત્રી સાથે સંબંધ હોઇ જેથી પોતાને ખબર પડતા પતિએ ઝઘડો કરી મારમાર્યો હતો. આ વાત સાસુ-સસરાને કરતા તે પણ સાથ આપતા નહીં અને કહેતા કે તારામાં કાંઇ વાક હશે ત્યારે મારો દીકરો બીજા પાસે જાય તેવું કહી ત્રાસ આપતા હતા અને ઘરકામ બાબતે મેણાટોણા મારી શારીરિક માનસીક ત્રાસ આપતા પોતે રાજકોટ માવતરે આવ્યા બાદ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે એએસઆઇ. વી. જી. બોરીચાએ તપાસ હાથ ધરી છે. 

(3:07 pm IST)