૧૫૦ ફૂટ રોડ પર ભાગ લેવા માટે રોડ ક્રોસ કરતો ૬ વર્ષનો પૃથ્વીરાજ કારની ઠોકરે ચડયો : મોત
રાજુલાના ખેરા ગામનો પૃથ્વીરાજ ત્રણ દિવસ પહેલા નાની સાથે રાજકોટ આવ્યો'તો
રાજકોટ તા. ૨૮ : ૧૫૦ ફુટ રોડ પર આવેલ અટલ સરોવર પાસે ભાગ લેવા માટે રોડ ક્રોસ કરવા જતા ૬ વર્ષના બાળકનું કારની ઠોકરે મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી.
મળતી વિગત મુજબ રાજુલાના ખેરા ગામનો વતની અને તરણ દિવસ પહેલા તેના નાનીમા સાથે રાજકોટ દોઢસો ફૂટ રોડ પર અટલ સરોવર પાસે આવેલો પૃથ્વીરાજ હિંમતભાઇ શીયાળ (ઉ.વ.૬) ત્રણ દિવસ પહેલા ભાગ લેવા માટે ઘરેથી નીકળી રોડ ક્રોસ કરવા જતા સેન્ટ્રો કારના ચાલકે ઠોકર મારતા બાળક ફંગોળાઇ ગયો હતો. બનાવ બનતા કાર ચાલક પોતાની કાર સાઇડમાં ઉભી રાખી દોડી આવ્યો હતો અને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. બાદ બાળકને તાકીદે સારવાર માટે ક્રાઇસ્ટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મૃતક પૃથ્વીરાજ એકભાઇ એક બહેનમાં નાનો હતો. પિતા હિંમતભાઇ માછીમારી કરે છે. તે તેના નાની સાથે ત્રણ દિવસ પહેલા જ રાજકોટ આવ્યો હતો. પુત્રના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ. અજયસિંહ ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.