કોવિડ હોસ્પિટલો માટે નવા નિયમો ઘડવા સરકારને ભલામણઃ એ.કે.રાકેશ
આગની ઘટનાનું પુનરાવર્તન રોકવાના ઉપાયો દર્શાવતા અધિક મુખ્ય સચિવ : રાજકોટની ઘટનામાં આખરી તારણ માટે એફ.એસ.એલ. રીપોર્ટની રાહ
રાજકોટ તા. ર૮ : ગુરૂવારની મધરાતે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા પાંચ દર્દીઓમાં મૃત્યુની કમકમાટીભરી ઘટના અંગે બે દિવસ તપાસ કરી અધિકમુખ્ય સચિવ એ.કે. રાકેશ ગાંધીનગર જવા રવાના થયા છે. ઓકિસજનનું પ્રમાણ વધવાથી આગ લાગ્યાનુ પ્રાથમિક તારણ કાઢી આખરી તારણ માટે ફોરેન્સીક લેબના રીપોર્ટની રાહ જોવાતી હોવાનું તેમણે જણાવ્યું છે.
શ્રી એ.કે. રાકેશએ જણાવેલ કે હોસ્પિટલ માટેના હાલના નિયમો કોરોના કાળ પહેલાના છે. મહામારી પછી પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. કોવિડ હોસ્પિટલોમાં સારવાર અને સુવિધા માટેના નવા નિયમો બનાવવાની જરૂર છે. આવા બનાવો નિવારવા માટે સરકારને સૂચનો સાથે ભલામણ કરાશે સમયની માંગ મુજબ સારવાર માટેના સાધનો પણ અત્યાધુનિક હોય તે જરૂરી છે રાજકોટની ઘટનાનો એફ.એસ.એલ.નો રીપોર્ટ સોમવાર સુધીમાં આવી જશે.