કોરોના સામેનું જનજાગૃતિ અભિયાન : માળિયા, મોરબી થઇને ટંકારા ફરી હવે જામનગર તરફ
'સાવચેતીને સંગ કોરોના સામે જીતીશું જંગ' ના સુત્ર સાથે આવકાર
રાજકોટ,તા. ૩૦: ભારત સરકાર ,પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો,યુનિસેફનાં સયુંકત ઉપક્રમે કચ્છથી શરૂ થયેલ કોરોના સામેનું જન જાગૃતિ અભિયાન મોરબી જિલ્લાનો પ્રવાસ કરી જામનગર તરફ આગળ ધપી રહ્યુ છે. માળિયા, મોરબી થઈને ગઈકાલે કોવિડ વિજય રથ ટંકારા પહોંચ્યો હતો. ટંકારા અને આસપાસના ગ્રામીણ વિસ્તારમાં કોરોના સંભવિત સંક્રમણ અને ભારત સરકારની વિવિધલક્ષી કલ્યાણકારી યોજના અંગે જાદુનાં માધ્યમ થી પ્રો. સત્યમ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. ટંકારા મધ્યે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જી.પી. ભીમાણીએ લીલી ઝંડી દર્શાવી રથને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ટંકારા તાલુકા પંચાયતનાનો સ્ટાફ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રો.તત્સક ચંદ્રકાંત પાઠક ઉર્ફે સત્યમ જાદુગર દ્વારા મનમોહક જાદુઈ કરતબ સાથે સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. કોવિડ વિજયરથ દ્વારા રાજય સરકારના આરોગ્ય વિભાગના સહકારથી ગામે ગામે નિશુલ્ક આયુર્વેદિક, હોમોયોપેથીક દવાઓ, માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. કચ્છ ઝોન હેઠળ આવતા ચાર જિલ્લાઓમાં કોવિડ વિજય રથની વ્યવસ્થા ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ક્ષેત્રીય અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી સંભાળી રહ્યા છે.