Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

એક જ દિવસમાં જુનાગઢના ૧ર સહિત જિલ્લાના ૪૪ દર્દી ડિસ્ચાર્જ

નવા કોરોના પોઝીટીવ કેસમાં ઘટાડો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧ : એક જ દિવસમાં જુનાગઢના ૧ર સહિત જિલ્લાના કુલ ૪૪ કોરોના દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.

જિલ્લામાં રિકવરી રેટમાં સુધારો થવાની સાથે નવા પોઝીટીવ કેસમાં પણ ઘટાડો નોંધાયો છે.

બુધવારે જુનાગઢ જિલ્લામાં નવા ૩પ કેસ નોંધાયા હતા. જેની સામે ૪૪ દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.

જુનાગઢ સીટીમાં ગઇકાલે ૧૬ નવા કેસનો ઉમેરો થયેલ. જયારે જુનાગઢ ગ્રામ્ય, કેશોદ, માળીયા તથા માણાવદર ખાતે ત્રણ-ત્રણ કેસ, ભેસાણ, મેંદરડા, તેમજ વિસાવદરમાં બે-બે કેસ અને વંથલીમાં એક જ કેસ સામે આવ્યો હતો.

જયારે બુધવારે જુનાગઢ સીટીના ૧ર, જુનાગઢ રૂરલ-૪, કેશોદ-૯, ભેસાણ-૬, માણાવદર-૩, વંથલી-૧, અને વિસાવદરના પાંચ મળી કુલ ૪૪ કોરોના દર્દી સ્વસ્થ થયા હતાં.

જિલ્લામાં સપ્ટેમ્બરના અંત ભાગથી કોરોનાએ પીછેહઠ કરી છે. સપ્ટેમ્બરમાં ૧૦૩૭ કેસ નોંધાયા. છેલ્લા સાત દિવસમાં ર૪૩ પોઝીટીવ કેસ સામે આવેલ. એક મહિનામાં ૯૧પ દર્દીએ કોરોના પર વિજય મેળવ્યો છે.  આમ છેલ્લા એક સપ્તાહથી નવા કોરોના કેસમાં ઘટાડો થતાં તંત્રએ રાહત અનુભવી છે.

(12:46 pm IST)