Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

મોરબીના ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે 90 વર્ષથી થઇ રહી છે ગાંધીજી અને સરદારની પૂજાઃ રામજી મંદિરમાં ભગવાનની સાથોસાથ બંને મહાત્‍માઓને પણ પૂજવામાં આવી રહ્યા છે

મોરબી: આખા ભારતમાં ગાંધીજી-સરદાર પટેલને ખૂબ સન્માન અને આદરપૂર્વક જોવામાં આવે છે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. પરંતુ ગાંધીજી અને સરદાર પટેલ પૂજાઈ છે આ વાત સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે. પરંતુ મોરબી જીલ્લામાં આવતા ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે આવેલા રામજી મંદિરની દીવાલ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીનો ફોટો છેલ્લા ૯૦ વર્ષથી બનાવવામાં આવ્યો છે અને ભગવાનની સાથોસાથ તેની પણ મંદિરના પુજારી અને ગ્રામજનો દ્વારા પૂજા કરવામાં આવી રહી છે.

ભગવાનની સાથે થાય છે ગાંધી અને પટેલની પૂજા

આ લખધીરગઢ ગામમાં છેલ્લા ૯૦ વર્ષથી ભગવાનની સાથે જ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલને પણ પૂજે છે. અત્રે ઉલેખનીય છે કે, આ ગામમાં આવેલા રામજી મંદિરમાં ગામના વડીલો દ્વારા મંદિરમાં ભગવાન રામની સાથોસાથ મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલના દીવાલો ઉપર ચિત્રો બનાવવામાં આવ્યા છે અને શિવાજી, મહારાણા પ્રતાપ, જવાહરલાલ નેહરૂ, મોરબીના રાજા લખધીરસિંહ જાડેજા સહિતના મહાનુભાવોના ફોટો મુકીને તેની પૂજા કરવામાં આવી રહી છે.

90 વર્ષથી થાય છે પૂજા

ગુજરાતના આ મંદિરમાં રહેનાર પૂજારી દરરોજ ભગવાનની માફક પૂજા કરે છે. આ ફોટા પર ના ફક્ત ધૂપ અને અગરબત્તી વડે આરતી ઉતારવામાં આવે છે. પરંતુ તેમને પ્રસાદ પણ ચઢાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે ગામમના લોકો રાજનેતાઓને પણ ભગવાન ગણતા નથી, પરંતુ વર્ષોથી અહીં પરંપરા પોતાની આગામી પેઢીને આદર્શોને સમજાવવા માટે નિભાવવામાં આવી રહી છે.

રામજી મંદિરમાં સવાર સાંજ ભગવાનની સાથો-સાથ સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના મહાનુભાવોની પૂજા કરવામાં આવે છે. જેથી દેશની આઝાદીમાં મહત્વનું યોગદાન આપનારા મહાપુરૂષોને આ ગામની યુવા પેઢી ક્યારેય પણ ભૂલશે નહિ તે નક્કી છે. આ ગામની બીજી વિશેષતાએ પણ છે કે, સમયની સાથે તાલ મિલાવીને દરેક ઘરમાં ગાડી આવી ગઇ છે. જો કે, તો પણ આજની તારીખે દરેક ઘરમાં ગાય રાખવામાં આવે છે અને ગામમાં ગમે ત્યારે તમે જશો તો તમને રસ્તે રઝળતી ગાય કયારે પણ જોવા મળશે નહિ.

(4:45 pm IST)