Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

હળવદ માર્કેટ યાર્ડના ભોજનાલયમાં ખેડૂતો હવે સાંજનું ''વાળું'' પણ કરી શકશે

રાહતદરે અગાઉ બપોરે ભોજનની સુવિધા શરૂ કર્યા બાદ હવે સાંજના ભોજનની પણ વ્યવસ્થા કરાઇ

(દીપક જાની દ્વારા) હળવદ,તા.૬ :ખેતરોમાં અને વાડીમાં  રાત દિવસ જોયા વગર કાળી મજૂરી કરીને સમગ્ર જગતને અન્ન પૂરું પાડનાર અન્નદાતા સમાન ધરતીપુત્રો માટે બે ટંક શુદ્ધ સાત્વિક અને આરોગ્ય પ્રદ ભોજનની વ્યવસ્થા કરવી એ સૌથી મોટું પુણ્યનું કાર્ય છે. ત્યારે આવું પુણ્યશાળી કાર્ય હળવદના માર્કેટ યાર્ડમાં કરવામાં આવી રહ્યું છે. જેમાં હળવદના માર્કેટ યાર્ડમાં જણસીઓ લઈને આવતા ધરતીપુત્રો માટે બોપરના સમયે ટોકન દરે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આ સેવાકાર્યને આગળ ધપાવીને ખેડૂતોને ઉપયોગી થવા માટે હવે સાંજે ''વાળું''ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. મોડી સાંજ સુધી કામ અર્થે માર્કેટ યાર્ડમાં રોકતા ખેડુતો સહિતના લોકો સાંજનું ભોજન લઈ શકશે.

 હળવદ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે માટે થઈને ખેડૂત ભોજનાલય ચાલુ કરવામાં આવ્યું છે અને આ ભોજનાલયમાં માર્કેટયાર્ડમાં વિવિધ જણસો લઈ આવતા ખેડૂતોને ટોકન દરે જમાડવામાં આવી રહ્યા છે અહીં ખેડૂતોને બપોરે જમવાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. ત્યારે ૫ માર્ચથી માર્કેટયાર્ડમાં આવેલ ભોજનાલયમાં બપોર બાદ હવે સાંજે પણ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની દરેક ખેડૂત મિત્રોએ નોંધ લેવી.

હળવદ માર્કેટ યાર્ડમાં આસપાસના તાલુકાના અને ગામોના મોટી સંખ્યામાં ખેડૂતો તેમની ખેતીની ઉપજ વેચવા આવે છે. આ વિવિધ જણસીઓની ખરીદીમાં માર્કેટ યાર્ડમાં ઘણો સમય લાગે છે. ઘણીવાર ભાવતાલમાં આખો દિવસ ખેડૂતોને માર્કેટ યાર્ડમાં રોકાવું પડે છે. આથી, ખેડૂતો આખો દિવસ ભૂખ્યા ન રહે તે માટે માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂત ભોજનાલય ચાલુ કરી ટોકન દરે જમવાની વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે. વધુમાં ખેડૂત ભોજનાલયના સંચાલક હિતેશભાઈ લોરીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતો માટે રાહતદરે અગાઉ ઘણા સમયથી ભોજનાલય શરૂ કર્યું છે. ખેડૂતો અત્યાર સુધી બપોરે શુદ્ધ અને દેશી કાઠિયાવાડી ભોજન પીરસવામાં આવતું હતું. ત્યારે હવે બપોરની સાથે સાંજે પણ ખેડૂતો જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતો સાથે કામ અર્થે બીજા પણ ઘણા લોકો આવતા હોય છે. આવા તમામ લોકોને હવેથી હળવદ માર્કેટ યાર્ડના ભોજનાલયમાં બપોરે અને સાંજે ભોજન મળશે.

(11:35 am IST)