Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના સંતો અને ઋષિકુમારોની ઝળહળતી સફળતા

સોમનાથ સંસ્કૃત યુનિ. દ્વારા આઠ-આઠ સુવર્ણ ચંદ્રકો અર્પણ

વેરાવળ :  સોમનાથ સંસ્કૃત યુનિ. ના વિશાળ પ્રાંગણમાં, કુલપતિ ગોપબંધુ મિશ્રાજીની ઉપસ્થિતિમાં, ૧૩ મો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમા ૭૫૦  જેટલા છાત્રોને પદવી એનાયત કરવામાં આવી હતી.

જેમાં અમદાવાદ SGVP ગુરુકુલ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થી સંત મુનિવત્સલદાસજી સ્વામીએ ઉપનિષદ્ અને વચનામૃત આધારિત ચાર પુરુષાર્થ -ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ વિષય પર શોધનિબંધ રજુ કરતા તેમજ અંકિત રાવલે વ્યાકરણમાં સિદ્ધાન્ત કૌમુદીની અર્થપ્રકાશ ટીકા આધારિત શોધનિબંધ રજુ

કરતા કુલપતિના હસ્તે પીએચડીની પદવી  એનાયત કરવામાં આવી હતી.

તેમજ  દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થી  સંત  શ્રી નિરંજનદાસજી સ્વામીએ  આચાર્ય કક્ષામાં યુનિવર્સિટી પ્રથમ અને સ્વામિનારાયણ વેદાન્તમાં પ્રથમ સ્થાન મેળવેલ છે.

વિદ્યાર્થી સંત હરિકૃષ્ણદાસજી સ્વામીએ (વડતાલ) સ્વામિનારાયણ વેદાંતમાં શાસ્ત્રી ક્ક્ષામાં પ્રથમ સ્થાન મેળવેલ છે.

ઋષિકુમાર પંડ્યા પ્રતિક શાસ્ત્રીએ કક્ષાએ પ્રથમ સ્થાન તેમજ સાહિત્ય શાસ્ત્રમાં યુનિ. પ્રથમ સ્થાને આવેલ છે.

આ ઉપરાંત શાસ્ત્રી કક્ષાએ ન્યાયશાસ્ત્રમાં ખૂંટ સહજ પ્રથમ અને આચાર્ય કક્ષાએ ન્યાયશાસ્ત્રમાં રાજ્યગુરુ જયદેવે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.

પ્રથમ સ્થાને આવેલ તમામ છાત્રોને કુલપતિ ગોપબંધુ મિશ્રાજીના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવેલ.

આ પ્રસંગે પદવીદાન સમારંભમાં ગુજરાતના રાજ્યપાલ મહામહીમ શ્રી દેવવ્રત આચાર્ય તથા સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર શ્રી રમેશભાઇ ઓઝાએ તમામ છાત્રોને ઓન લાઇન અભિનંદન પાઠવ્યા  હતા.

SGVP ગુરુકુલ પ્રાર્થના સભામાં યોજાયેલ સમારંભમાં શા. માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી અને અર્જુનાચાર્યજીએ તમામ પદવી મેળવનાર છાત્રોને દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયનું ગૌરવ વધારવા બદલ આશીર્વાદ સાથે અભિનંદન આપ્યા હતા.

 

(5:10 pm IST)