Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

કોરોના રસીનું સંશોધન આત્‍મનિર્ભર ભારતના માર્ગનું પહેલુ કદમ : કોરોના સામે સુરક્ષા કવચ : પુનમબેન માડમ

કોવિડ વેકસીન કોવિશિલ્‍ડના જામનગરના ૧૪,૦૦૦ ડોઝ જામનગર ખાતે આવી પહોંચ્‍યા : જિલ્લાના સરકારી તથા ખાનગી ક્ષેત્રના આરોગ્‍યકર્મીઓને પ્રથમ તબક્કામાં કોવિશિલ્‍ડ વેકસીન અપાશે : જામનગર જિલ્લા પંચાયતને કુલ ૫,૦૦૦ ડોઝ, જામનગર મહાનગરપાલિકાને કુલ ૯,૦૦૦ ડોઝ, કોલ્‍ડ ચેઇન પોઇન્‍ટ પર વેકસીન સપ્‍લાય કરાશે : તમામ સાધનોના તાપમાન અને તમામ વેકિસનના સ્‍ટોકનું ૨૪×૭ ઓનલાઇન મોનીટરીંગ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. ૧૫: જામનગર કલેકટર કચેરી ખાતે જામનગર જિલ્લા માટે કૂલ૧૪,૦૦૦થી વધુ વેક્‍સીનડોઝનો જથ્‍થો આવી પહોંચ્‍યો હતો જેનું સાંસદશ્રી પૂનમબેન માડમે શ્રીફળ વધેરી અને હાર પહેરાવીને સ્‍વાગત કર્યું હતું.

આ પ્રસંગે સાંસદશ્રી પૂનમબેમ માડમે જણાવ્‍યું હતું કે,સિરમ ઈન્‍સ્‍ટીટ્‍યુટ ઓફ ઇન્‍ડિયા દ્વારા આ રસીની શોધ થઈ છે. દેશના પ્રધાનમંત્રીશ્રીની ઉદાત્ત ભાવના અને દિવસ-રાત એક કરી વેક્‍સીનની શોધમાં સફળતા પ્રાપ્ત કરતા વૈજ્ઞાનિકોએ દેશને આ મહામારીના સંક્‍ટમાંથી ઉગારવા જે વેક્‍સીનનું નિર્માણ કર્યું છે, તે આજે જામનગરના આંગણે આવી પહોંચી છે. દેશમાં જ કોરોનાની રસીનુંસંશોધન થાય અને દેશવાસીઓ સંકટમાંથી બહાર આવે,તે આનંદની ક્ષણો છે. દસ મહિનાના અંતે હિન્‍દુસ્‍તાનની ધરતી પર આ રસીની શોધ થઈ છે જે ગર્વની બાબત છે. આ રસી અસરકારક અને સંપૂર્ણ સુરક્ષિત છે. આત્‍મનિર્ભર ભારતના માર્ગ પરનું આ પહેલું કદમ છે. આ રસીના ઉપયોગ વડે રસીકરણથી દેશવાસીઓને કોરોના સામે સુરક્ષા કવચ આપી શકાશે. જામનગર ખાતે આ રસીનો પહેલો જથ્‍થો આવી પહોંચ્‍યો છે. જેને કારણે જામનગરના લોકો હર્ષસાથે રાહતની લાગણી અનુભવી રહ્યા છે. દરેક લોકોને તબક્કાવાર વેકસીનેશનનો લાભ મળે તે માટે મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં સંઘન અને સુચારૂ આયોજન કરાયું છે.

જામનગર ખાતે સરકારી તેમજ ખાનગી દરેક ડોક્‍ટર, નર્સ, આશા વર્કર વગેરે મેડિકલ- પેરામેડીકલ  વગેરે આરોગ્‍યકર્મીઓની યાદી ઉપલબ્‍ધ છે જેમને પ્રથમ તબક્કે વેક્‍સિન આપવામાં આવશે અને આ માટે વેક્‍સિનનો પૂરતો જથ્‍થો જામનગર જિલ્લાને પ્રાપ્‍ય થયો છે તેમ સાંસદશ્રીએ ઉમેર્યુ હતું.

વેક્‍સિનેશનના પ્રથમ તબક્કામાં કોરોના સામે બાથ ભીડનાર અગ્રીમ હરોળના કોરોના વોરીયર્સ એવા આરોગ્‍યકર્મીઓને વેકસીન આપવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા વિસ્‍તારમા ૫ સ્‍થળોએ તથા જામનગર ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૩ સ્‍થળોએ વેકસીન આપવાની વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે. જેમાં જામનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતના કુલ ૫૬ સ્‍ટોરેજ કેન્‍દ્રો સુનિતિ કરાયા છે.ᅠᅠતમામ કેન્‍દ્રો પર ફ્રિઝરના ટેમ્‍પરેચર અને તમામ વેક્‍સિનના સ્‍ટોકનું મોનીટરીંગ  EVIN સોફ્‌ટવેર મારફત ઓનલાઇન જોઈ શકાય છે. વેક્‍સીન ટ્રાન્‍સપોર્ટેશન માટે જિલ્લા કક્ષાએ અને મહાનગરપાલિકા પાસે પણ વેક્‍સીન વાન ઉપલબ્‍ધ છે.

પ્રથમ તબક્કે ૮ સેન્‍ટર જેમાં પાંચ કોર્પોરેશન અને ત્રણ પંચાયત વિસ્‍તારના સેન્‍ટર ઉપર વેક્‍સિન આપવામાં આવશે. જેમાં કોર્પોરેશન વિસ્‍તારના જામનગર શહેરના જી.જી હોસ્‍પિટલ, નીલકંઠનગર, કામદાર કોલોની તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારમાં ધ્રોલ, કાલાવડ અને લાલપુરમાં વેક્‍સિન માટે કેન્‍દ્ર નિર્માણ કરાયું છે તેમ જિલ્લા સમાહર્તાશ્રીએ કહ્યું હતું.

જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા, કમિશનરશ્રી સતિષ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપિન ગર્ગ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:40 pm IST)