Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

કોરોના કાળમાં પણ જી.જી. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગની અવિરત કામગીરી

લોકડાઉનથી લઈ અત્યાર સુધીમાં ૧૬,૦૯૨ નોનકોવિડ ઓર્થો સર્જરી કરાઈ

જામનગર, તા.૧૬: હાલ કોરોના સંક્રમણ ખૂબ જ વધ્યું છે. અત્ર-તત્ર-સર્વત્ર જયારે કોરોના મહામારીની સામે લડત આપવાની કામગીરી કરાઈ રહી છે પરંતુ સાથે જ નોન કોવિડ દર્દીઓને ઘણી મુશ્કેલી પડી રહી છે ત્યારે જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કોવિડ સિવાયના દર્દીઓ કે જેઓ પોતાની અન્ય મુશ્કેલીઓ લઈને આવ્યા છે તેઓને પણ સતત તેમના દર્દમાંથી મુકત કરવા માટે ડોકટરો દ્વારા પરિશ્રમ કરવામાં આવી રહ્યો છે. કોવિડ દરમિયાનમાં પણ જી.જી.હોસ્પિટલ દ્વારા અન્ય દરેક વિભાગની નોન કોવિડ કામગીરી પણ સતત કાર્યરત રાખવામાં આવી છે. ખાનગી હોસ્પિટલો જયારે દર્દીઓને ના પાડી રહી છે ત્યારે જી.જી.હોસ્પિટલમાં દર્દીઓની દરકાર લેવાઇ રહી છે.

આવા જ એક દર્દી જામનગરના અમીનાબેન હનીફભાઈ સમાનું હાથનું હાડકું ભાગી ગયું હતું તેઓ ખાનગી હોસ્પિટલમાં ગયા તો ત્યાં તેમને તપાસ માટેની ના પાડવામાં આવી પરંતુ જી.જી.હોસ્પિટલમાં આવતા જ તેમને ઓર્થોપેડિક ઓપીડીમાં ચેક કરવામાં આવ્યા. જયાં તેમના હાથમાં પ્લેટ નાખવાની આવશ્યકતા છે તેવું ડોકટરે પરિવારજનોને જણાવ્યું હતું. હાથમાં નાખવાની પ્લેટ અમદાવાદથી લાવવામાં આવે છે, તેને મંગાવી તુરત જ ઓપરેશનની તારીખ નક્કી કરવામાં આવી.

ઓપરેશન બાદ હાલ અમીનાબેનની આ તકલીફ દૂર છે. ત્યારે અમીનાબેન કહે છે કે, કોરોના મહામારીમાં પણ ડોકટરોએ તાત્કાલિક મારી સારવાર કરી, મારી તકલીફને દૂર કરી એ માટે ડોકટરોનો ખુબ ખુબ આભાર માનું છું.

તો અમીનાબેનની પુત્રી રુકસાનાએ આ મહામારીના સમયમાં પણ સરકારની સેવાઓ નાગરિકોને તાત્કાલિક મળી રહે છે તે માટે સરકારનો આભાર વ્યકત કરી જણાવ્યું કે, મારી માતાના હાથમાં હાડકું ભાંગી ગયું હતું. ખાનગી હોસ્પિટલમાં ડોકટરે ના પાડી ત્યારે જી.જી.હોસ્પિટલમાં આવી અને ડોકટરને તપાસ કરાવતાં હાથમાં પ્લેટ નાખવાની આવશ્યકતા વિશે જણાવ્યું અને અમદાવાદથી લાવવાની પ્લેટ પણ તાત્કાલિક મંગાવી. આ હોસ્પિટલમાં મારી માતાને ખૂબ સારી સારવાર મળી. કોરોનાના સમયમાં જયારે બધા ડોકટરોનું ધ્યાન માત્ર તેના તરફ છે ત્યારે મારી માતા જેવા અનેક દર્દીઓ કે જેઓને બીજી તકલીફો છે. તેઓને પણ સરકારી હોસ્પિટલની સુવિધાઓ સારી રીતે મળી રહી છે તે માટે ડોકટરોનો અને રાજય સરકારનો આભાર વ્યકત કરું છું.

જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં માર્ચ મહિનાથી હાલ સુધીમાં કોરોનાના કપરા કાળમાં પણ ૩૫૭૮ મેજર સર્જરીઓ અને ૧૨,૫૧૪ માઇનોર સર્જરીઓ મળી કુલ ૧૬,૦૯૨ નોન-કોવિડ ઓર્થોપેડિક સર્જરીઓ કરાઇ છે. ત્યારે દિવસ-રાત દર્દી નારાયણની સેવામાં રત રહેતા ડોકટરોને સો- સો સલામ.

(12:51 pm IST)