Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

પોરબંદરના હરિમંદિરે પૂ.ભાઇશ્રીના સાનિધ્યમાં નવરાત્રી અનુષ્ઠાન

જૂનાગઢ : પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં ૩૯મા નવરાત્રિ અનુષ્ઠાનનો પ્રારંભ થયો હતો. નવરાત્રિનો પ્રથમ દિવસ હોય સવારે દેવ સ્થાપન પૂજા કરવામાં આવી અને દ્યટ સ્થાપન કરવામાં આવ્યુ.પૂજય ભાઈશ્રીએ નવરાત્રિના પ્રથમ દિવસે મા ભગવતીના નવ સ્વરૂપોમાં શૈલપુત્રી તરીકે કુમારિકા પૂજન કર્યુ હતુ. ત્યારબાન શ્રીરામ ચરિતમાનસ પાઠનો મંગલાચરણ પૂર્વક વિધિવત પ્રારંભ કર્યો હતો.પૂજય ભાઈશ્રીએ કહ્યુ હતું કે સામાન્ય રીતે નવરાત્રિના સમયમાં સભાગૃહ ભરેલુ હોય છે. પરંતુ આપ સૌ અહીંયા નથી છતાં સભાગૃહ ભરાયેલું લાગે છે. આપ સૌએ  દિવ્યતા અને ભાવથી ઓનલાઇન જોડાયા છો. આપણે સૌ પાઠનો આનંદ લઈશુ. પૂજય ભાઈશ્રીએ જણાવ્યું હતુ કે શ્રીહરિ મંદિરમાં પ્રતિદિન મા ભગવતીની દિવ્ય ઝાંખીઓ સજાવવામાં આવશે. જેના દર્શનનો લાભ આપ સૌ ઓનલાઇન લઈ શકશો. દર વર્ષની જેમ આપણે દેવસ્થાપન કરીને સવારે ઘટસ્થાપન વિધિ કરવામાં આવી અને મા ને પ્રસન્ન કરવા માટે એની સમક્ષ શ્રીરામચરિત માનસનો પાઠ કરવામાં આવે છે. દુર્ગાષ્ટમીના રોજ પણ નવકુંડી હોમાત્મક યજ્ઞ થશે.  નવરાત્રિમાં દરવર્ષે મેડીકલ કેમ્પની સેવાનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોવિડ-૧૯ની મર્યાદાઓને કારણે મેડીકલ કેમ્પનુ આયોજન થઈ શકયુ નથી. બાકીનો અનુષ્ઠાન અને સત્સંગ્નો ઉપક્રમ યથાવત રાખેલો છે. આ વર્ષે કોઇ એક જ મુખ્ય મનોરથીના બદલે ચાર મુખ્ય મનોરથી સેવા આપી રહ્યા છે. હિતેશભાઈ તથા નીલમબેન જયસ્વાલ-અમેરિકા,  ગીતા આહુજા, મુંબઈ,  અજયભાઈ તથા નિશાબહેન રાઠી, પુના અને નરેશભાઈ તથા વીણાબહેન નાગ્રેચા, મુંબઈ આ ચાર મુખ્ય મનોરથીઓનું સ્મરણ કર્યુ હતુ અને અન્ય સેવકો પણ અન્ય સેવાઓમાં જોડાશે તેમ કહ્યુ હતુ. શારદીય નવરાત્રિ અનુષ્ઠાનમાં સાયં સત્રમાં સત્સંગનું આયોજન થતુ હોય છે એ મુજબ આ વર્ષે પણ શ્રીમદ્ દેવીભાગવત કથાનું આયોજન થયેલું છે. પૂજય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં શ્યામભાઈ ઠાકર દ્વારાશ્રીમદ્ દેવીભાગવત કથાનો વિધિવત્ પ્રારંભ થયો હતો. કથાના પ્રારંભ પૂર્વે સાંદીપનિ સ્થિત શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય શ્રી બિપિનભાઇ જોશી દ્વારા 'પ્રથમં શૈલપુત્રી' ની કથા અને મહાત્મ્ય વિશે પ્રવચન આપવામાં હતુ. તેઓએ શૈલપુત્રી આ નામ વિશે જે શાસ્ત્રોમાં કથા કહેલી છે તેનું ટૂંકમાં વર્ણન કરીને દેવ અને દેવી વચ્ચે કોઈ ભેદ નથી એમ સમજાવીને દેવી શબ્દોના વિશિષ્ટ અર્થોમાં જ સંસારના સમસ્ત વ્યવહારો સમાય જાય છે એમ કહ્યુ હતુ. નવરાત્રી અનુષ્ઠાન યજ્ઞમાં દેવી ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો તે તસ્વીર. (તસ્વીરઃ અહેવાલ : વિનુ જોષી-જૂનાગઢ)

(1:35 pm IST)