Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ગોંડલમાં પતિને આપઘાતની ફરજ પાડવાના ગુન્હામાં એફ.એસ.એલ. કર્મચારી પત્ની મુખ્ય આરોપીને રેગ્યુલર જામીન ઉપર છુટકારો

ત્રાસ આપી કેસમાં ફીટ કરવાની ધમકીથી કંટાળી સીવીલ એન્જીનિયર યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાના બનાવમાં પત્ની સહિત ૬ વ્યકિતઓ સામે ગુન્હો નોંધાયેલો

રાજકોટઃ. આ કામમાં પોલીસ કેસની ટૂંકી વિગત એવી છે કે, ફરીયાદી રમાબેન વિનોદભાઈ પોરીયાએ ગોંડલ સીટી પોલીસમાં પોતાના દિકરા કુલદીપે તા. ૧૫-૧૦-૨૦૨૦ના રોજ સવારે ૬.૩૦ના અરસામાં પોતાના ઘરે રામજી મંદિર ચોક ગોંડલ ખાતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા તથા તેણે લખેલ એક સ્યુસાઈડ નોટ ફરીયાદીને મળતા તેમા તથા ફરીયાદમાં કરેલ આક્ષેપો પ્રમાણે ગુજરનાર કુલદીપના પત્ની અક્ષીતા કે જે રાજકોટ એફ.એસ.એલ.માં નોકરી કરે છે તે તથા તેના સાસુ નીશાબેન (સરકારી શાળાના શિક્ષક) તથા તેના સસરા વિરેન્દ્રભાઈ (એ.જી. ઓફિસના કર્મચારી) તથા તેનો સાળો મૃદિત (સચીવાલય ગાંધીનગરના ડી.વાય.એસ.ઓ. તથા અન્ય એક સગા કે જે વકીલ છે તે તથા અન્ય એક સગા કમલનયન સોલંકી વિગેરે સાસરીયાઓએ મરનાર કુલદિપને માનસિક ત્રાસ આપી તથા ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી તથા આરોપી નં. ૧ ને અન્ય આરોપીઓને ચડામણી કરી કુલદિપને મરવા મજબુર કરતા તેના કારણે કુલદિપે આત્મઘાત કરી લીધેલ વિગેરે આક્ષેપો કરવામાં આવેલ.

આ સંબંધે પોલીસે આઈ.પી.સી. કલમ ૩૦૬, ૧૧૪, અન્વયે ગુનો નોંધી આરોપી આક્ષીતાબેન, વિરેન્દ્રભાઈ તથા નીશાબેનની ધરપકડ કરી જેલ હવાલે કરેલા તથા અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ આદરેલ હતી.

જેથી જેલમાં આરોપી આક્ષીતાબેન કુલદીપભાઈએ પોતાના વકીલ રૂપરાજસિંહ પરમાર મારફત નામ, ગોંડલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી ગુજારેલ હતી.

આ આરોપીની જામીન અરજી ગોંડલ એડી. સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપીના વકીલની વિગતવારની રજૂઆતો તથા આરોપી તરફે રજુ થયેલ ઉચ્ચ અદાલતના ચુકાદાઓ તથા મૂળ ફરીયાદી તરફેની લેખીત રજૂઆતો તેમજ સરકારશ્રી તરફેની રજુઆતો એમ તમામ પક્ષોની રજૂઆતો ધ્યાને લઈ ગોંડલના મહે. એડી. સેશન્સ જજ શ્રી આર.પી. સિંગ રાઘવ સાહેબે ઉપરોકત આરોપી આક્ષીતાબેનના રેગ્યુલર જામીન મંજુર કરેલ છે.

આ કામે આરોપી વતી જામીન અરજીમાં રાજકોટના વકીલ શ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર તથા ભરત સોમાણી તથા ગોંડલના એડવોકેટ શૈલેષ એન. ભટ્ટી તથા નેહાબેન નાગરીયા રોકાયેલ હતા.

(3:19 pm IST)