Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

કરોડો દેશવાસીઓના હ્ય્દય સમ્રાટ નરેન્દ્રભાઇ મોદીની સોમનાથ ટ્રસ્ટના ચેરમેનપદે વરણી થવાથી વિકાસ વેગવંતો થશેઃ વિજયભાઇ રૂપાણી

સોમનાથમાં અખીલ ભારતીય ફિશરમેન એસોસીએશન ગુજરાત પ્રાંત દ્વારા મુખ્યમંત્રીશ્રીને કન્યા કેળવણી નીધી માટે રપ હજારનો ચેક અર્પણ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા., ૨૧: કરોડો દેશવાસીઓના હ્ય્દય સમ્રાટ નરેન્દ્રભાઇ મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બનેલ છે. સૌથી વધારે વિકાસ થશે. સોમનાથ ટ્રસ્ટ જે કંઇ વિકાસ કરશે તેમા રાજય સરકાર પુરો સહકાર આપશે તેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સોમનાથ ખાતે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની ચૂંટણીમાં ભાજપની ભવ્ય  જીત થશે તે માટે વિશ્વાસ વ્યકત કરેલ હતો.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ મહાદેવ જ્યોતિલિંગની મહાપુજા-અર્ચના, દર્શન કરીને ગુજરાત અને ગુજરાતીઓની સુખાકારી માટે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ તેમના ધર્મપત્નીશ્રી અંજલીબેન રૂપાણી સાથે સોમનાથ મંદિર ખાતે ધ્વજાપુજા કરીને ધ્વજારોહણ તેમજ વીર શહીદ હમીરજી સ્મારકને પુષ્પ અર્પણ કર્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્ચ પ્રસિધ્ધ પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવને પુજા-અર્ચના કરી જણાવ્યું હતું કે, કોરોના મુકત ગુજરાત અને ગુજરાતીઓની સુખાકારી માટે ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરી છે. કોરોના બાદ દેશની સાથે ગુજરાત ફરી પુનઃધબકતુ થશે. આસ્થાનું કેન્દ્ર સમાન સોમનાથ મંદિરના અવિરત વિકાસ માટે સોમનાથ ટ્રસ્ટની સાથે રાજ્ય સરકાર અને પ્રવાસન વિભાગ કટિબધ્ધ છે.

તાજેતરમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષસ્થાને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પસંદગી થઈ છે. તેઓશ્રીની દિર્ધદ્રષ્ટિથી સોમનાથ મંદિરનો જયજય કાર થશે. દેશના વડાપ્રધાન સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ હોય ત્યારે સોમનાથ મંદિરનો વિકાસ વેગવંતો બનશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સોમનાથ મંદિરના નિર્માણ અને ભવ્યતામાં સિંહફાળો આપનાર સ્વજનોને યાદ કરતા કહ્યું હતું કે, સોમનાથ મંદિરનું વિશેષ મહત્વ રહ્યું છે. સોમનાથ મંદિરની ભવ્યતા દિન પ્રતિદિન વધી રહી છે.

કેન્દ્રીય ગૂહમંત્રીશ્રી અમિત શાહે સોમનાથ ચોપાટી ખાતે પ્રસાદમ યોજના અંતર્ગત રૂ.૪૫ કરોડના ખર્ચે ખાતમુર્હૂત કરેલ પ્રોમોનેડ (વોક-વે)ના કામનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા સાથે નિરિક્ષણ કરી જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પદાધિકારીશ્રીઓ અને માછીમારી સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. અખીલ ભારતીય ફિશરમેન એસોસીએશન ગુજરાત પ્રાંત દ્રારા મુખ્યમંત્રીશ્રીને કન્યાકેળવણી નિધિ માટે રૂ.૨૫ હજારનો ચેક અર્પણ કર્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે મોમેન્ટ આપી સન્માન કર્યું હતું. મંદિરના મુખ્યપુજારીને વિજયભાઈએ પુજા-અર્ચના કરાવી હતી.      

આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પુર્વમંત્રી જશાભાઈ બારડ, પુર્વ રાજ્યબીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા, અગ્રણીશ્રી માનસિહ પરમાર, નીતીનભાઈ ભારદ્રાજ, ઝવેરીભાઈ ઠકરાર,  કલેકટરશ્રી અજય પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર, રેન્જ આઈજી મનિન્દર પવાર, જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ ત્રિપાઠી સહિતના મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા.

(1:29 pm IST)