Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ગમે તેવી કપરી પરિસ્થિતિમાં આત્મહત્યા ન જ કરવી : પૂ. રમેશભાઇ ઓઝા

પોરબંદર હરિ મંદિરે અધિક પુરૂષોત્તમ માસ નિમિતે ભાગવત કથા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૧: જીવનમાં પરિવર્તનથી ડરો નહીં. ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ આત્મહત્યા તો ન જ કરવી. જેમ પાણી પોતાનો રસ્તો કરી લે છે, તેમ જીવન પણ માર્ગ શોધી જ લે છે એ જ રીતે કથા પણ તેનો માર્ગ શોધી લે છે, એમ જાણીતા કથાકાર, પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ શનિવારે અધિક પુરૂષોત્તમ માસના દ્વિતિય દિવસે શ્રીમદ્દ ભાગવત કથા-જ્ઞાનયજ્ઞનાં પ્રારંભે શ્રી હરિ મંદિર-પોરબંદર ખાતેથી જણાવ્યું હતું.

સંસ્કૃતિ ફાઉન્ડેશન-નોર્થ અમેરિકા અને કેનેડાના સંયુકત તત્વાવધાનમાં યોજાયેલી આ શ્રીમદ્દ ભાગવત કથા, જ્ઞાનયજ્ઞ, સાંદીપનિ વિદ્યાનિકેતન, પોરબંદર ખાતે ચાલી રહી છે. સાંદીપનિ યુ ટયૂબ, ફેસબુક, જીઓ ટીવી તથા અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ પર ભારત ઉપરાંત, અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતનાં વિવિધ દેશોનાં શ્રોતાજનો જોડાયા હતાં. ઉલ્લેખનીય છે કે દરરોજ સાંજે ૪-૦૦ થી ૬-૩૦ જીવંત પ્રસારણ તથા તેના રેકોર્ડેડ પ્રસારણનો લાભ સંસ્કાર ટી.વી. ચેનલ ઉપર સવારે ૧૦ થી બપોરે ૧ર-૩૦ દરમિયાન લઇ શકાશે.

પૂજય ભાઇશ્રીએ જણાવ્યું કે જોકે, એ પણ યાદ રાખવું કે પરિવર્તન છે એટલે જ રસ છે, નહીંતર જિંદગી નિરસ થઇ જાય. આપણને ગમે કે ન ગમે, પરંતુ પરિવર્તન તો નિત્ય-નિરંતર થતું જ રહે છે. લોકડાઉનનાં સમયમાં અલ્પકાળ માટે જીવનની ગતિ અટકી ગઇ હોય એવું બન્યું, પરંતુ પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે. બધું જ બદલાયા કરે છે. આપણે એક નવી દુનિયાનો અનુભવ કરી રહ્યા છીએ. જો કે, આવી પરિસ્થિતિમાં પણ એ યાદ રાખવાનું છે કે ગમે તેવી કપરી પરિસ્થિતિ આવે વ્યકિતએ હતાશ, નિરાશ થઇને આત્મહત્યા કરવાની નથી. ધર્મશાસ્ત્રમાં તો આત્મહત્યાને પાપ ગણવામાં આવ્યું છે.

કાર્ષ્ણીગુરૂ શરણાનંદજી મહારાજ (રમણરેતી-વૃંદાવન) એ શ્રીમદ્દ ભાગવત કથાના બીજા દિવસે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે આપણે પ્રાર્થના કરીએ કે કોરોનાનું સંકટ વિશ્વમાંથી ટળે, પરંતુ કોરોનાની કરૂણા થઇ કે પૂજય ભાઇશ્રીના શ્રીમુખે-વ્યાસપીઠે આપણને સતત એક મહિના સુધી શ્રીમદ્દ ભાગવતના શ્રવણનો લાભ મળશે. જેના શ્રવણથી જ્ઞાન, વૈરાગ્ય સહિત ભકિતનો પ્રસાદ પ્રાપ્ત થાય. જેનાથી વિવેકની પ્રાપ્તિ થાય અને એ વિવેક સચ્ચિદાનંદ શ્રીકૃષ્ણની આત્માનુભૂમિ દ્વારા આપણે સૌ પરમ કલ્યાણની પ્રાપ્તિ કરીએ.

(11:48 am IST)