Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

કોરોના સામેની લડાઈમાં જામનગરની મહિલાઓએ ખાસ ગૌમુત્ર સેનિટાઈઝર કર્યું તૈયાર : લેબ, પરીક્ષણમાં પાસ

કામધેનું દિવ્ય ઔષધિ મહિલા સહકારી મંડળીનું નવું ઇનોવેશન :પ્રમાણપત્ર મળ્યા બાદ શરૂ થશે વેચાણ

જામનગર : કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવ્યો છે,કોરોનાની કોઈ દવા શોધાઈ નથી પરંતુ સાવચેતી જ એક માત્ર વિકલ્પ છે. સાવચેતીના ભાગરૂપે લોકો સેનિટાઈઝર અને હેન્ડવોશનો ઉપયોગ કરી રહ્યા છે. સેનિટાઈઝરથી કોરોના મરે છે પરંતુ વારંવાર સેનિટાઈઝરને ઉપયોગ નુકસાનકારક પણ છે. ચામડીના રોગો થવાની સંભાવના છે. ત્યારે જામનગરની એક સંસ્થાએ ગૌમુત્રમાંથી સેનિટાઈઝર તૈયાર કર્યું  છે

   આપણા આયુર્વેદે વિશ્વને અનેક એવી દવાઓ આપી છે જે અકલ્પનિય છે. હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ઉકાળાનું સેવન કરવા કહેવામાં આવ્યું છે. ઉકાળો પણ સંપૂર્ણ આયુર્વેદિક છે. પરંતુ હાથની સાફ સફાઈ માટે હાલ લોકો વધારે પડતો સેનિટાઈઝરનો ઉપયોગ કરી રહ્યા છે. સેનિટાઈઝરનો ઉપયોગ કરવો એ સારી બાબત છે પરંતુ તેનો વધારે પડતો ઉપયોગ નુકસાનકારક છે. કારણ કે સેનિટાઈઝરમાં અનેક પ્રકારના કેમિકલ મિક્સ કરવામાં આવે છે. આ કેમિકલ ચામડીના અને અન્ય રોગોને નિમંત્રણ આપે છે.

  ત્યારે જામનગરમાં આવેલી મહિલાઓની એક સહકારી મંડળી શ્રી કામધેનું દિવ્ય ઔષધિ મહિલા સહકારી મંડળીએ ગૌમુત્રમાંથી સેનિટાઇઝર તૈયાર કર્યું છે. આ મંડળી નેચરલ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે. તેમની પ્રોડક્ટની દેશ અને વિદેશમાં ગણી જ માગ રહે છે. કોરોનાકાળમાં આ સહકારી મંડળીએ પોતાની સ્વાભાવિક કાર્યપદ્ધતિ મુજબ ગૌમુત્ર, તુલસી અને લીમડો સહીત અન્ય ઔષધિઓના મિશ્રણથી હેન્ડ સેનેટાઈઝર તૈયાર કર્યું છે.

સહકારી મંડળીના પ્રમુખના કહેવા મુજબ આ સર્ટિફાઇડ આ સેનેટાઈઝર તદ્દન કેમિકલ મુક્ત છે. આનાથી કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી. લેબોરેટરીના પરિક્ષણમાં પણ પાસ થયું છે. હવે તેના વેચાણ માટે પણ પ્રમાણપત્ર મળવાની તૈયારી છે. જેના કારણે થોડાક જ સમયમાં લોકોને કેમિકલથી મુક્ત અને સારી ક્વોલિટીની સેનિટાઈઝર મળી રહેશે.

જામનગરની મહિલાઓ લોકો માટે સારી વસ્તુ બનાવવાની સાથે સાથે પોતે પણ સારી રોજગારી કમાઈ રહી છે. કામધેનુ મહિલા મંડળી વર્ષ 2003થી કાર્યરત છે. અહીં અનેક પ્રાકૃતિક પ્રોડક્ટો બનાવે છે. જે માત્ર જામનગર જ નહીં પરંતુ જામનગર બહાર અને વિદેશમાં પણ જાય છે. ગૌમુત્ર અંગે અનેક ગુણગાન ગવાયા છે. ગૌમુત્રમાં જે શક્તિ છે જે બીજે ક્યાંય નથી. આપણા આયુર્વેદમાં ગૌમુત્ર, તુલસી અને લીમડાને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. જામનગરમાં મહિલાઓએ બનાવેલું આ સેનિટાઈઝર પણ આયુર્વેદના સુચવેલા નિયમો મુજબ જ તૈયાર કરાયું છે

(11:39 pm IST)