Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

બીજાની જિંદગીના ઉજાસ પાથનારા કોરોના વોરિયર્સને બિરદાવવાનો આ સમય છે : જયેશભાઇ ઠકરાર

પોરબંદરના કોરોનાની વૈશ્વિક મહામારીમાં મીડિયાની ભૂમિકા અંગે ગુજરાત પ્રેસ અકાદમી તથા જિલ્લા માહિતી કચેરી દ્વારા વેબીનાર યોજાયો : કોલમીસ્ટનું મુખ્ય વકતત્વ યોજાયું

પોરબંદર તા.૨૧: ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી પોરબંદર દ્રારા પ્રેસ ડે નિમિત્ત્।ે વેબીનાર યોજાયો હતો. કોરોનાની વૈશ્વિક મહામારીમાં મીડિયાની ભૂમિકા અને તેની અસરોના વિષય પર યોજાયેલ વેબીનારમાં મુખ્ય વકતા વરિષ્ઠ પત્રકાર અને કોલમીસ્ટ જયેશભાઇ ઠકરારે જણાવ્યુ હતુ કે, કોરોનાની સત્ય અને સચોટ માહિતી આપીને લોકોને જાગૃત કરવાનું અગત્યનું સામાજિક દાયિત્વ મીડિયાએ નિભાવ્યુ છે. તેઓએ સકારાત્મક પત્રકારત્વની વિશેષ બાબતો પર પ્રકાશ પાડીને કહ્યુ કે, પોતાની જાતને બાળીને અંધકારને દૂર કરવા રાત દિવસ  બીજાની જિંદગીમાં ઉજાસ પાથરવાનું કામ કરનારા કોરોના વોરિયર્સની કામગીરીને લોકો સુધી લઇ જઇ તેને બિરદાવવાનો આ સમય છે.

કોરોનાથી સાવચેત રહીને પરિવારને બચાવવાની બાબતો પર વિસ્તૃત છણાવટ કરીને તેઓએ તકેદારી અને સતત એલર્ટ રહેવા પર પણ વિદ્યાર્થીઓને રસપ્રદ માર્ગદર્શન આપ્યુ હતું. કોરોનાના આ સમયમાં બિન જરૂરી રીતે બહાર નિકળવાના બદલે કેવી કેવી સકારાત્મક પ્રવૃતિ કરીને લોકોને ઉપયોગી બની શકાય તે અંગે પણ મહત્વની જાણકારી આપી હતી. ઇલેકટ્રોનિકસ અને પ્રિન્ટ મીડિયા કર્મીઓને વિવિધ એંગલથી લોકોને વિષેશ જાણકારી મળે એવા અહેવાલો અને સકસેસ સ્ટોરી બનાવવા અંગે માર્ગદર્શન આપતા કહ્યુ કે જેટલા નવા કેસ આવે છે તેની સાથે સાથે કોરોનાથી સાજા થઇને મોટી સંખ્યામાં લોકો મનોબળ મજબુત રાખીને ઘરે પરત ફરી રહ્યા છીએ તે પણ એક ઉજળુ પાસું છે. ૮૦થી ૧૦૦ વર્ષના લોકો પણ સાજા થઇ રહ્યા છે.

તેઓએ વધુમાં કહ્યુ કે, કોરોનાના દર્દીઓને સાજા કરવામાં ઓવર ટાઇમ કરતા ડોકટરો, નર્સો તેમજ કોરોનાના રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે કામ કરતા વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓને પણ સારી કામગીરી માટે મીડિયાના માધ્યમથી પ્રોત્સાહિત કરવા જોઇએ.

રાજયના માહિતી ખાતા દ્વારા લોકોમાં કોરોનાનો ગભરાટ ઓછો થાય અને કોરોનાના દર્દીઓમાં મનોબળ વધે તે માટે કરવામાં આવી રહેલા કવરેજો અને જાગૃતિ ઝુંબેશને આવકારી આ મહામારીમાં લોકોએ પોતાએ પણ પરિવારની ચિંતા કરીને વિશેષ તકેદારી રાખવી પડશે અને આવી બધી જ પ્રકારની તૈયારીઓથી કોરોના સામેનો જંગ જીતી શકાશે તેમ પણ જણાવ્યુ હતું. આ વેબીનારમાં જોડાયેલા પત્રકારો, વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીજનોએ પણ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

વેબીનારના પ્રારંભે પોરબંદરના સહાયક માહિતી નિયામક નરેશભાઇ મહેતાએ વેબીનારનો ઉદેશ, પોરબંદર જિલ્લાના મીડિયાકર્મીઓની સકારાત્મક ભૂમિકા અંગેની લોકડાઉન અને હાલ થઇ રહેલી કામગીરી અને જાગૃતિના હકારાત્મક પરિણામો અંગેની વિગતો આપી હતી. કાર્યક્રમના અંતે માહિતી મદદનીશ જીતેન્દ્ર નિમાવતે આભારવિધિ કરી હતી.

(12:57 pm IST)