Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

જામનગરના ભગવતીબેને ૨૧ દિ' જંગ ખેલીને કોરોનાને કર્યો મહાત

મનોબળ મજબૂત રાખો, તો કોઇ પણ બિમારીને હરાવી શકાય :ત્રિવેદી : ડાયાબિટીસ.. હૃદય પહોળું થવું.. બ્લડ પ્રેશર.. થાઇરોઇડ.. મણકા ખસી જવા... વેલ.. સહિતના આઠ-આઠ રોગ હોવા છતાં છતાં પણ એકલવીરની જેમ કોરોના સામે લડત આપી..

જામનગર,તા.૨૩: મજબૂત મનોબળ માનવીને ગમે તે કપરા કાળમાં ઝઝૂમવાની, ટકી રહી લડત આપવા માટેની શકિત પૂરી પાડે છે. જીવનમાં અમુક વ્યકિત એવી હોય છે કે જે ગમે તેવો ભયંકર રોગ હોય તો તેને પણ પાછો પાડી દેશે. જામનગરના ૮૭ વર્ષીય વૃદ્ઘા ભગવતીબેન આવા જ મક્ક્મ મનોબળના ઘાતા છે. ૨૧ દિવસ સુધી આઇસોલેશન વોર્ડમાં આઠ-આઠ રોગ હોવા છતાં પણ કોરોના સામે રીતસરની લડાઈ આપીને ભગવતીબેને કોરોનાને મહાત આપી છે.

ઘણા લોકો આજે માત્ર કોરોનાના નામથી જ ગભરાઇ જઇ ડરી જતા હોય છે, કયારેક કયારેક એવું પણ બને છે કે દર્દી કોરોનાથી નહીં પરંતુ તેના ડરથી પોતાની સંપૂર્ણ તાકાત ખોઇ બેસતો હોય છે અને આ ડર અને ગભરાટના કારણે પોતે લડાઇ લડતા પહેલાં જ શસ્ત્રો મૂકી દેતો હોય છે. જયારે સામાન્ય શારિરિક તંદુરસ્તી ધરાવતા લોકો પણ કોરોના સામે લડાઈમાં લડી શકતા નથી ત્યારે જામનગરની કોવિડ હોસ્પિટલમાં સતત ૨૧ દિવસ સુધી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ, મણકા ખસી જવા, વેલ, હૃદય પહોળું થવું, નકસુર..જેવી ગંભીર બીમારી હોવા છતાં પણ ૮૭ વર્ષીય ભગવતીબેન ગુણવંતરાય ત્રિવેદી વૃદ્ઘાએ સતત કોરોના સામે લડાઈ હતી અને હિંમત હાર્યા વગર હું એક દિવસ ચોક્કસ ઘરે આવીશ એ જ વાકય બોલ્યા કર્યું હતું. જીવનમાં અનેક કપરી પરિસ્થિતિમાં કયારેય હાર ન માનેલા ભગવતીબેને કોરોના રોગ સામે પણ બાથ ભીડીને હિંમત હાર્યા વિના રીતસરની લડાઈ આપીને આખરે હોસ્પિટલમાંથી રજા મેળવી લીધી છે.

થોડા દિવસ સુધી વેન્ટીલેટર પર રહીને ગંભીર તકલીફો સાથે પણ કોરોનાને હરાવ્યો છે. આ માટે ભગવતીબેન અને તેમના પુત્ર હિરેનભાઇ ડોકટર એસ એસ ચેટરજી.. ડોકટર ભુપેન્દ્ર ગોસ્વામી.. ડોકટર અજય ખન્ના. ડોકટર હિમાની ઉપાધ્યાય અને ખાસ કરીને જી.જી હોસ્પિટલના પૂર્વ અધિક્ષક અને હાલના મેડિકલ કોલેજના ડીન ડોકટર નંદિની બેન દેસાઇની મહેનતને શ્રેય આપે છે. હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના કીર્તિબેન ગોસાઈ.. માધવીબેન મીન.. ઋષિ ત્રિવેદી અને અન્ય નર્સિંગ સ્ટાફ તેમજ સહાયક સ્ટાફે પણ ખૂબ જ સારી મહેનત કરી હતી તેમ હિરેનભાઇએ કહ્યું છે. ઉમદા ડોકટરો, ગુણવત્ત્।ાલક્ષી સારવાર અને નર્સિસ તેમજ દર્દી સહાયકોની કાળજી અને સેવાના કારણે ભગવતીબેન ત્રિવેદીને એક નવું જીવન મળ્યું છે, જે સમાજ માટે ખુબ જ ઉત્ત્।મ ઉદાહરણ રૂપ છે.

કોવિડ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૪૬ જેટલા અતિ ક્રિટીકલ કેસ આવેલા છે, જેમાં વૃદ્ઘ લોકોએ અનેક રોગો હોવા છતાં કોરોનાની મહામારીને જાકારો આપીને એક નવું જીવન મેળવ્યું છે. કોઈપણ કામ એવું નથી કે જે આપણે ના કરી શકીએ, કોઇ પણ કપરા કામને ચેલેન્જ માની સામે બાથ ભીડવી જોઇએ તેવું કહેતા ભગવતીબેન ઉમેરે છે કે, અનેક મારી ઉંમરના લોકો કોવિડના નામથી ડરી ગયા છે ત્યારે તેમને મારો એક જ સંદેશ છે કે, મનોબળ મક્કમ રાખો, કોઈ પણ ગંભીર મુશ્કેલીમાં કયારેય જીવનમાં હાર ન માનતા, ચોક્કસપણે મહેનત કરો તો પરિણામ સારું જ મળશે.

આ સાથે જ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલની સારવાર માટે ભગવતીબેન ત્રિવેદીના પુત્ર હિરેનભાઇ કહે છે કે, જામનગરની કોવિડ હોસ્પિટલમાં ખાનગી કે અન્ય હોસ્પિટલ કરતા ખૂબ જ સારી સેવા મળે છે અને એ પણ વિનામૂલ્યે. જે રીતે મારા મમ્મી એટલે કે ભગવતીબેન ૨૧ દિવસ સુધી કોવિડ હોસ્પિટલમાં રહ્યા, જો ખાનગી હોસ્પિટલમાં રહ્યા હોત તો ત્રણથી સાડા ત્રણ લાખ જેટલું બિલ આવ્યું હોત, પરંતુ સરકાર વિનામૂલ્યે દર્દીઓની સેવા કરે છે અને જામનગરની હોસ્પિટલને આશીર્વાદરૂપ બનાવવા માટે તમામ ડોકટરો અને ખાસ કરીને કોરોનાના નોડલ ડોકટર એસ. એસ. ચેટરજી અને તેમની ટીમનો આ તકે જેટલો આભાર માનીએ, તેટલો ઓછો છે. અમારા માતા દ્યેર આવી ગયા તેની અમને અનહદ ખુશી છે. હજુ પણ સરકાર વધુને વધુ સુવિધા કોરોના દર્દીઓ માટે વિકસાવી રહી છે ત્યારે જામનગરના ગરીબ, સામાન્ય અને શ્રીમંત કોઇપણ વર્ગના લોકો માટે જામનગરની હોસ્પિટલ ખૂબ જ આશીર્વાદરૂપ બની ગઈ છે તે ચોક્કસ છે.

સંકલન

દિવ્યાબેન ત્રિવેદી,

માહિતી મદદનીશ

ફોટો માહિતી બ્યુરો, જામનગર

(12:53 pm IST)