Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

તુલસીશ્યામ ધામમાં કાલથી પૂ.મોરારીબાપુની ઓનલાઇન રામકથા

સોરઠના પ્રસિધ્ધ તિર્થધામ એવા રૂક્ષ્મણિ માતાજીના મંદિરે પૂ.બાપુ જ્ઞાનગંગા વહાવશેઃ તા.૨૬થી તા.૪ ઓકટોબર સુધી આયોજનઃ આસ્થા ચેનલમાં દરરોજ સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ જીવંત પ્રસારણ

ભાવનગર, તા.૨૫: અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાનશ્રી શ્યામ જયાં બિરાજમાન છે, જેની સન્મુખ ડુંગર ઉપર માં રુક્ષમણિમાંનાં બેસણાં છે તેવાં- સોરઠનાં પ્રસિદ્ઘ તીર્થધામ - તુલસીશ્યામ ધામમાં રુક્ષમણિમાંના ડુંગર ઉપર પૂજય મોરારીબાપુની રામકથાનું મંગલ ગાન ૨૬ સપ્ટેમ્બરના શનિવારે સવારે ૯:૩૦થી આરંભાશે.

સનાતન ધર્મ સંસ્કૃતિમાં જેનું વિશેષ મહાત્મ્ય છે, એવા પુરુષોત્તમ માસના પાવન દિવસોમાં, શ્યામધામ સમાન પરમ તિર્થ ખાતે પૂજય બાપુ દ્વારા રઘુનાથ ગાથાનાં સુમંગલ ગાન શ્રવણનો લાભ શ્રોતાઓને આસ્થા ટીવીનાં તેમજ ચિત્રકુટધામ તલગાજરડાનાં યુ-ટ્યૂબનાં માધ્યમથી મળશે. પૂજય મોરારીબાપુ દ્વારા તુલસીશ્યામ ખાતેની આ બીજી રામકથા યોજાઇ રહી છે.

પ્રકૃતિ જયાં સોળે કળાએ ખીલી છે, લીલી વનરાઇનાં પર્ણોનાં સંગીતથી જયાં શ્યામની ઝાલરૃં વાગે છે, મોરલા અને કોયલના ટહુકાથી જયાં શ્યામની આરતી ગવાઈ છે, ડાલા મથ્થા સિંહનીં ડણકુંના નગારે ઘા થઇને જયાં ભગવાન શ્યામસુંદરની આરતી ઉતરે છે.

એવાં તુલસીશ્યામ તીર્થધામમાં પરમ પૂજય બાપૂની શ્રોતા વગરની રામકથાનો લાભ લેવા સંસ્થાના સંચાલક શ્રી પ્રતાપભાઇ વરુએ સહુ ભાવિકો - કથા પ્રેમીઓને વિનંતી કરી છે કે આ શ્રોતા વગરની સપ્તાહ છે. કોરોનાનાં કારણે તુલસીશ્યામ મંદિર સંપૂર્ણ બંધ છે, તો સૌએ આસ્થા ચેનલ અથવા યુટ્યૂબ પર શ્રવણ લાભ લેવા અનુરોધ કરાયો છે. શ્યામધામ અંગે વિશેષ પૃચ્છા માટે મો.૯૮૭૯૧૪૪૩૪૩ પર વાત કરી શકાશે. તેમ તુલસીશ્યામ મંદિર ટ્રસ્ટના પ્રતાપભાઈ એસ વરૂ, ડો. બી બી વરૂ તથા ટ્રસ્ટીશ્રીઓએ જણાવ્યું છે. આસ્થા ચેનલમાં તા.૨૬/૯ થી તા.૪/૧૦ સુધી સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ લાઇવ પ્રસારણ થશે.

(10:28 am IST)