Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

સર્વસમાવેશક વિકાસના આયામને લક્ષ્યમાં રાખી ગુજરાતનું ઉત્તમથી સર્વોત્તમ તરફ પ્રયાણ : જયેશભાઇ રાદડિયા

જામનગર જિલ્લા કક્ષાના ૭૨માં પ્રજાસત્તાક પર્વ-૨૦૨૧ની થયેલી શાનદાર ઉજવણી : જવાનોની પરેડ-માર્ચ પાસ્ટનું નિરીક્ષણ : વિવિધ કચેરીઓ દ્વારા ટેબ્લો પ્રદર્શિત કરાયા : પોલીસ બેન્ડની સુરાવલીથી જામનગર દેશભકિતના રંગે રંગાયુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૭ : જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૭૨મા પ્રજાસતાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. રાજયના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કર્યા બાદ મંત્રીશ્રીએ જામનગર પોલીસદળ, હોમગાર્ડ, એન.સી.સી. વગેરેના જવાનોની માર્ચપાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું તેમજ માર્ચ પાસ્ટમાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરેલને પુરસ્કૃત કર્યા હતા.  

ઉજવણી પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધન કરતા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાએ ગુજરાતમાં જન્મ લેનાર પુજય મહાત્મા ગાંધી અને સરદાર પટેલને અંતઃકરણ પુર્વક શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા અને જણાવ્યું હતું કે ગાંધી સરદારના નામ હંમેશા અમર રહેશે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, ૧૯૫૦માં આપણા ભારત દેશે પોતાનું આગવું બંધારણ સ્વીકારીને પ્રજાનું સુશાસન પ્રાપ્ત કર્યુ, તેનું ગૌરવ ગાવાનો અને ગરિમા જાળવવાનો આ આપણા સૌ માટે પવિત્ર દિવસ છે.

બંધારણના ઘડવૈયાનો આભાર માનતા તેમણે વધુમાં ઉમેર્યુ કે, વર્ષો પહેલા ગુલામીની ઝંઝીરોમાંથી મુકત થવા આપણે એકતા દર્શાવી અંગ્રેજ સરકાર સામે લડત આપી હતી આજે ફરી એકવાર ગુજરાત સહિત સમગ્ર ભારત વર્ષે પોતાની એકતાના દર્શન દુનિયાને કરાવ્યા છે. કોરોના નામના અદ્રશ્ય દુશ્મનને હરાવવા ગુજરાતીઓએ એક બની મક્કમ મુકાબલો કર્યો છે. સૌના સહિયારા પુરુષાર્થથી જ ગુજરાતમાં આ મહામારીમાં ૯૬ ટકાથી પણ વધારે રિકવરી રેટ રહ્યો છે. આપણા દેશના વૈજ્ઞાનિકો દુનિયાને રાહ ચીંધી રહ્યા છે, ભારતમાં સ્વદેશી બે રસીઓનો આવિષ્કાર થયો છે.

આ મહામારીના સમયમાં પણ લડત આપીને આપણે ઉત્તમ થી સર્વોત્તમ તરફ પ્રયાણ કર્યું છે. ખેડૂતો, યુવાનો, મહિલાઓ, વંચિતો, ગરીબો સૌ કોઈના સર્વસમાવેશક વિકાસના આયામને લક્ષ્યમાં રાખી ગુજરાતની પ્રગતિ થઈ રહી છે. ગુજરાત અનેક ક્ષેત્રે પ્રથમ છે ત્યારે ગુજરાતની વિકાસયાત્રાને વધુ બળવત્ત્।ર બનાવવા અને ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસ માટે આગળ વધવા જનતા જનાર્દનને મંત્રીશ્રીએ પ્રતિબદ્ઘતા વ્યકત કરી  હતી.

 આ કાર્યક્રમમાં મંત્રી શ્રી દ્વારા વિવિધ વિભાગના કોરોના મહામારી દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કોરોનાવોરિયર્સને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ હોમગાર્ડમાં ઉત્કૃષ્ટ સેવા બદલ જવાનોને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રસીકરણ, જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક સુરક્ષા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મિશન મંગલમ-સ્વચ્છ ભારત, વન વિભાગ દ્વારા વન સંરક્ષણ-જૈવિક વૈવિધ્ય, પી.જી.વી.સી.એલ દ્વારા કિસાન સૂર્યોદય યોજના-સોલાર રૂફ ટોપ યોજના અને આર.ટી.ઓ જામનગર દ્વારા ટ્રાફિક અવેરનેસ-માર્ગ સલામતી અંગેના ટેબ્લોનું નિદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ ક્રમે પી.જી.વી.સી.એલ, દ્વિતીય ક્રમે ગ્રામ વિકાસ એજન્સી અને તૃતીય ક્રમે વનવિભાગને શ્રેષ્ઠ ટેબ્લો નિદર્શન માટે મંત્રીશ્રીના હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

પોલીસ બેન્ડની સુરાવલીઓથી જામનગર દેશ ભકિતના રંગે રંગાયુ હતું. કાર્યક્રમ પૂર્ણ થયે મંત્રીશ્રીએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યુ હતું.  

કલેકટરશ્રી રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપિન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દિપેન ભદ્રન, અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ, અગ્રણીઓ, વરિષ્ઠ નાગરિકો, સ્થાનિક પ્રજાજનો, પત્રકારો વગેરે ઉપસ્થિત રહયા હતા.

(10:18 am IST)