Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

રાપરના વકીલની હત્યા મામલે દલિત સમાજ દ્વારા વિરોધ- તટસ્થ તપાસ માટે પોલીસ દ્વારા સીટની રચના

માધાપર, આડેસર, ગાંધીધામ, મંગવાણામાં દલિત સમાજ દ્વારા દેખાવો, તમામ આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર

(ભુજ) બામસેફ્ના કચ્છ જિલ્લાના કન્વિનર અને વકીલ દિનેશભાઈ મહેશ્વરીની રાપરમા થયેલ સરાજાહેર હત્યાના બનાવે કચ્છમાં ઉગ્ર પ્રત્યાઘાતો સર્જ્યા છે. શુક્રવારે સાંજે બનેલા હત્યાના બનાવ બાદ ૯ જણા સામે પોલીસ ફરિયાદ કરાઈ છે.  જ્યાં સુધી હત્યારા ન ઝડપાય ત્યાં સુધી અંતિમવિધિ માટે લાશ સ્વીકારવાના ઈન્કાર કરાયો છે. દરમ્યાન પોલીસે હત્યા કરનાર ભરત જયંતિલાલ રાવલને મુંબઈથી ગઈકાલે ઝડપી પાડ્યો છે. આ પ્રકરણમાં રાપરના અગ્રણી પ્રવિણસિંહ અલજી સોઢા, વિજયસિંહ સોઢા સહિત અન્ય ૮ આરોપીઓ પકડવાના બાકી હોઈ તમામને પકડી પાડવાની માંગણી કરાઈ છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ હત્યાના આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી હત્યારાઓને ઝડપી પાડવા રજુઆત કરી છે. દરમ્યાન દિનેશભાઈ મહેશ્વરીની હત્યાના તમામ આરોપીઓને પકડી પડવાની માંગ સાથે દલિત સમાજ દ્વારા કચ્છમાં અલગ અલગ સ્થળોએ ઉગ્ર વિરોધ કરાયો છે. ગઈકાલે માધાપર (ભુજ), આજે આડેસર (રાપર), ગાંધીધામ, મંગવાણા (નખત્રાણા) મધ્યે દલિત સમાજ દ્વારા રસ્તા રોકીને વિરોધ વ્યક્ત કરાયો હતો.

દરમ્યાન આ ગુનાની તટસ્થ અને ન્યાયી તપાસ માટે કચ્છ બોર્ડર રેન્જ આઈજી જે.આર. મોથાલિયાની આગેવાની નીચે પોલીસ દ્વારા સાત સભ્યોની સીટની સમિતિની રચના કરાઈ છે. જેમાં આઈજી જે.આર. મોથાલિયા, કન્વિનર તરીકે પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલ, તપાસનીશ અધિકારી તરીકે પૂર્વ કચ્છ ડીવાયએસપી વી.આર. પટેલ, સભ્ય તરીકે પાટણના ડીવાયએસપી જે.ટી. સોનારા, રાપર સર્કલ ઇન્સ્પેક્ટર ડી.એમ. ઝાલા, રાપર પીએસઆઈ સી.બી. રાઠોડ, અંજાર પીએસઆઈ એમ.એમ. જોશીનો સમાવેશ કરાયો છે.

(3:18 pm IST)