Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

ધોરાજી મામલતદાર કચેરી ખાતે ૧૦ પાનાંનું ફોર્મ ભરવું ફરજિયાત..?

સમગ્ર ગુજરાતમાં લગ્ન મંજૂરીના નિયમનો અંત છતા ધોરાજીમાં કેમ નહીં..?

ધોરાજી,તા. ૨૮: લગ્ન પ્રસંગ હોય ત્યારે મામલતદાર તેમજ પોલીસની મંજૂરી લેવી તે પ્રકારના જાહેરનામા બાબતે સમગ્ર રાજકોટ જિલ્લામાં તેમજ શહેરમાં ભારે વિરોધ થયા બાદ ગઈકાલે સૂત્રોએ જણાવ્યું કે હવે લગ્ન બાબતે મંજૂરી લેવાનો જરૂર નથી જેથી રાજકોટ શહેર તેમજ જિલ્લાના લોકોમાં રાહત જોવા મળી હતી.

ધોરાજી મામલતદાર કચેરી દ્વારા પ્રથમ વખત પરિપત્ર બહાર પાડયો જેમાં  નગરપાલિકા લગ્ન પ્રસંગ ના ફોર્મ સ્વીકારાશે બાદ ૨૪ કલાકમાં જ એ પરિપત્ર પાછો ખેંચી અને હવે થી ધોરાજી માં લગ્ન પ્રસંગ તેમજ અન્ય પ્રસંગો હશે તો તે અંગે  મામલતદાર કચેરી ખાતે ૧૦ પાનાનું ફોર્મ ભરવું પડશે જે નિર્ણય આવતા લોકોમાં ફફડાટ છવાઈ ગયો હતો અને મામલતદાર કચેરી ખાતે દીકરીના વાલીઓ કંકોત્રી લઈને જાહેરમાં દેખાવ કર્યો હતો અને વિરોધ પણ નોંધાવ્યો હતો કે અમારે દીકરીના લગ્ન કરવા છે નથી કોઈ અન્ય મનોરંજનના પ્રોગ્રામ પરંતુ  મામલતદાર કચેરી ખાતેથી એવો જવાબ આપ્યો કે જિલ્લા કલેકટરની સુચના અનુસાર ૧૦ પાનાનું જે ફોર્મ છે એ ભરવું ફરજીયાત છે જેના કારણે દીકરીના વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો

બાદ ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ (ચેમ્બર ઓફ કોમર્સ) ના પ્રમુખ લલીતભાઇ વોરા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ખેડૂત અગ્રણી ધીરુભાઈ કોયાણી જેડી બાલધા સિનિયર સિટિઝનના ધીરુભાઈ વદ્યાસિયા ભરતભાઈ પરમાર સંજયભાઈ ધ્રુવ વિગેરે દીકરીના વાલીઓ તેમજ સગાસંબંધીઓ મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે દોડી ગયા હતા અને આ બાબતે ૧૦ પાનાનું ફોર્મ તાત્કાલિક અસરથી રદ કરવાની રજૂઆત કરી હતી

આ સમયે નાયબ મામલતદાર ડીડી નંદાણીયા એ જવાબ આપ્યો કે અત્યારે ૧૦ પાના નું જે ફોર્મ છે એ ભરવું પડશે પરંતુ લગ્નની અંદર આવતા વ્યકિત ના મોબાઈલ નંબર કે આધાર નંબર નહી હોય તો ચાલશે જેથી મામલો શાંત થયો હતો

નંદાણીયા એ જણાવેલ કે અમારે આવી કોઈ સૂચના આવી નથી જિલ્લા કલેકટર કે ડેપ્યુટી કલેકટર આ બાબતે અમને સૂચના આપશે તો અમે ફોર્મ ભરવાનું બંધ રાખીશું પરંતુ અત્યારે આવી કોઈ સૂચના આવી નથી જેથી ૧૦ પાના નું ફોર્મ છે એ ભરવું જરૂરી છે

જેથી કરીને વાલીઓમાં રોષ જોવા મળ્યો છે અને જણાવેલ છે કે અમે પરંપરાગત હિંદુ શાસ્ત્રોકત વિધિથી અને સરકારી નિયમ પ્રમાણે જ લગ્ન કરવાના છીએ પરંતુ ૧૦ પાનાનું જે ફોર્મ છે એ અમને મંજૂર નથી અમારો ખોટો સમય બગડે છે અને અમને પણ આ બાબતે ડર લાગી રહ્યો છે કે અમારા લગ્ન પ્રસંગમાં સરકારી ખાતું માથાકૂટ કરવા આવશે કે નહીં...? આ બાબતે તાત્કાલિક અસરથી ધોરાજીના મામલતદાર ખુલાસો કરવો જોઈએ

નંદાણીયા એ જણાવેલ કે અત્યાર સુધીમાં ૭૫ ફોર્મ ભરાયા છે અને ૧૫૦ જેટલા ફોર્મ લોકો લઈ ગયા છે અને જયાં સુધી તમને ફોર્મ નહીંભરવા ની સૂચના નહીં આવે ત્યાં સુધી અમારે ફોર્મ ભરવા જરૂરી છે કારણકે જિલ્લા કલેકટરશ્રી અને ડેપ્યુટી કલેકટરનો આદેશ હોય તો અમારે એ માન્ય રાખવો જરૂરી છે.

(11:37 am IST)