Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં કહેવાતા ગેરકાયદે દબાણકારોને નોટીસો સામે માડમનો વિરોધ

સરકાર આત્મનિર્ભર યોજના હેઠળ વેપારીઓને બેઠા કરવાની કોશિષ કરે છે ત્યારે રપ વર્ષથી બાંધકામ ઉભા છે, વેપારીઓ પાસેથી વેરો-વીજ બીલ ઉઘરાવાય છે તો અત્યાર સુધી તંત્ર કેમ ચૂપ રહ્યું ?

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા. ર૯ :.. દેવભૂમિ દ્વારકા જિ.ના ભાણવડ શહેરમાં નગરપાલીકા દ્વારા સરેરાશ ૮૦ થી ૮પ લોકોને ગેરકાયદે દબાણો હટાવવા નોટીસો આપતા આવી નોટીસો સામે ધારાસભ્ય વિક્રમભાઇ માડમે વિરોધ નોંધાવી રાજયન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો લેખીત રજૂઆત કરી છે.

ધારાસભ્યએ જણાવ્યું છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં ભાણવડ શહેરમાં આવેલ સેવા સદનની સામે, નાના અને ગરીબ લોકો કે જેઓ રોજે રોજનું કમાઇને રોજે રોજ ખાય છે. તેવા ગરીબ લોકો આ વિસ્તારમાં દુકાનો દ્વારા વર્ષો થયા પોતાના નાના-મોટા ધંધાઓ કરે છે. ત્રીસ - ત્રીસ વર્ષોથી ત્યાં લોકો ધંધા-રોજગાર ચલાવે છે. આવા બધા ૮૦ થી ૮પ વ્યકિતઓ નગરપાલીકાનો ટેકસ પણ ભરે છે. તેમજ જીઇબી દ્વારા ઇલેકટ્રીકસીટીનાં અને નગરપાલિકા દ્વારા પાણીના નળનાં કનેકશનો પણ મેળવેલ છે. આમ તમામ સરકારી કાયદેસરની દુકાનોને મળતી સવલતો આ વેપારીઓ મેળવે છે. તેમજ આ બધા ધંધા - રોજગારથી રોજી-રોટી મેળવે છે.

જે તે સમયે આજથી લગભગ રપ-૩૦ વર્ષ પુર્વે આ દુકાનો બનેલ છે. અને હાલ સુધીમાં લગભગ દરેક દુકાનના માલીકી હકક પણ ૩-૪ બદલી ગયેલ છે. આજથી વીસ થી ત્રીસ વર્ષ પહેલા જયારે આ બધા લોકો દ્વારા બાંધકામ (મકાનો તથા દુકાનો) બનાવેલ ત્યારે તંત્ર શું કરતુ હતું ? આજ તંત્ર દ્વારા હાઉસ ટેકસ, વીજ કનેકશનો, નળના કનેકશનો પણ આપેલાં જ છે. આ બધુ બન્યુ અને વીસ-વીસ વર્ષનો સમય પણ પસાર થયો ત્યારે તંત્રને કાંઇ શું દેખાતુ ન હોતું ? શું તંત્રને કોઇ ખબર ન હોતી ? તેવો પ્રશ્ન ધારાસભ્યએ ઉઠાવ્યો છે.

હાલ જયારે વિશ્વવ્યાપી કોરોનાની મહામારી ચાલે છે. લોકોના વેપાર રોજગાર પતી ગયા છે ત્યારે રોજેરોજનું કરીને ખાતાપીતા લોકોનો આશરો ઝૂટવી લેવાની નીતિથી ઉપરોકત દબાણ દૂર કરવાની નોટીસની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો આવું કોઇપણ પગલું કે દબાણ દુર કરવાની કાર્યવાહી કરવામાં આવશે તો હું ગરીબોની સાથે જ છું. અને દબાણ દુરની કાર્યવાહી હાલની આ મહામારીમાં કોઇ દિવસ વ્યાજબી નિર્ણય નથી.

સરકાર એક તરફ નાના નાના વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા આત્મનિર્ભર ધિરાણની વાતો કરે છે અને બીજી તરફ નાના વેપારીઓની જ દુકાનો પાડવા નોટીસ આપે છે. જો આ દુકાનો પાડવોનો બળજબરી પુર્વક પ્રયાસ કરવામાં આવશે તો ભાણવડ શહેરની જનતાને સાથે રાખીને આંદોલન કરવાની ફરજ પડશે. તેમ અંતમાં જણાવેલ છે.

(11:34 am IST)