Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ગોંડલ નાગરીક સહકારી બેન્કના ચેરમેન જયંતીભાઇ ઢોલ અને મેનેજર સામે ૫ લાખની ઉચાપતની રાવ

બેન્કનાં ડીરેકટર યતિશભાઇ દેસાઇ, ધારાસભ્ય લલીતભાઇ વસોયા સહીતની આગેવાનીમાં જીલ્લા રજીસ્ટારને પોલીસ ફરીયાદ કરવા અરજી

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ, તા., ર૮: ગોંડલ નાગરીક બેન્કના ચેરમેન જયંતીભાઇ ઢોલ અને બેન્કના જનરલ મેનેજર મનસુખભાઇ સોજીત્રા સામે પ લાખની ઉચાપત અંગે રાજકોટ જીલ્લા રજીસ્ટારને બેન્કના ડીરેકટર યતીશભાઇ દેસાઇ, ધારાસભ્ય લલીતભાઇ વસોયાની આગેવાનીમાં લેખીત  પુરાવા સાથે અરજી કરીને પોલીસ ફરીયાદ કરવા માંગણી કરી છે. અરજીમાં જણાવ્યું છે કે, ગોંડલ પાલિકા સંચાલિત બાલાશ્રમની સાત દિકરીઓના લગ્ન તા. ૧૯-૧-ર૦ર૦ના રોજ યોજાયેલ જેમાં બેંકની વહીવટી કમીટીએ અન્ય ડીરેકટરોને અંધારામાં રાખી રૂ. ૧૦,૦૦,૦૦૦/ - અંકે રૂ. દસ લાખ પુરા મર્યાદા કલ્યાણ ફંડમાંથી આપવાનું ઠરાવેલ જેનો તમામ વહીવટ  ચેરમેનશ્રી કરતા હતા.

જે અંગ ે'બાલાશ્રમ ગર્લ્સ વેડીગના' નામે ખાતુ ખોલાવી તે ખાતાના વહીવટકર્તા બેંકના કર્મચારી હતાં તેમાં ઉપરોકત દસ લાખ જમા આપેલ તે પૈકી રૂ. પાંચ લાખ ચેરમેનશ્રી રોકડા ઉપાડી ગયેલ અને બાદમાં તે રોકડના ખર્ચના બીલો રાજકોટ, જેતપુર, અમરેલીની સોનાના દાગીનાની દુકાનોના બીલો મુકેલ અને મંજુર કરેલ. તે તમામ સ્થળે તપાસ કરતા આવી કોઇ દુકાનો મળી આવેલ ન હતી. ઉપરાંત ત્રણેય ગામની નગરપાલિકા પાસે ઉપરોકત શોપ લાયસન્સના નંબર અંગેની આર.ટી.આઇ.ની અરજી કરતાં આવા કોઇ નંબરની દુકાનો નોંધાઇ ન હોવાનું ઉપરોકત નગરપાલીકાએ લેખીત જવાબ આપેલ જે પણ ફરીયાદીએ રજૂ કરેલ. તદઉપરાંત એક બીલ, નાગરીક બેંકના વેલ્યુએશન રીપોર્ટ ઉપર જ બનાવટી બીલ બનાવી રજુ કરી મંજૂર કરી દીધેલ હતો.

ત્યારબાદ ફરીયાદી યતીશભાઇ દેસાઇએ ગોંડલ નગરપાલીકામાં બાલાશ્રમની દિકરીઓના લગ્ન પ્રસંગમાં નાગરીક બેંક દ્વારા કેટલુ અનુદાન મળેલ છે. તેવી આર. ટી. આઇ. નીચે અરજી કરતાં તેમના ચીફ ઓફીસર શ્રીએ લેખીત જવાબમાં જણાવેલ કે બેંક દ્વારા કોઇ દાન કે ભેટ મળેલ નથી અને આવું કોઇ ખાતું ખોલવાની મંજૂરી કે ઠરાવ કરેલ નથી તેવો જવાબ આપેલ. ભાજપ સાશીત ગોંડલ નગરપાલિકાએ પણ તેવો જવાબ આપેલ જે પણ ફરીયાદીએ આ સાથે રજૂ કરતા સનસનાટી મચી જવા પામેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જે વહીવટી કમીટીમાં આ ઠરાવ કરેલ છે તે વહીવટી કમીટીના સભ્ય ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પણ છે. તથા પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક આ બેંકના ડીરેકટર પણ છે. તેમ અંતમાં યતીશભાઇ દેસાઇએ જણાવ્યું છે.

(11:40 am IST)