Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

જામનગરના સડોદર ખાતેથી સૂર્યશક્તિ કિસાન યોજનાનું સાંસદ પૂનમ માડમના હસ્તે લોકાર્પણ

ખેડૂતો માટે ઐતિહાસિક પ્રગતિ સાથે હરિયાળી ક્રાંતિના દ્વાર ખુલ્યા :જગતના તાત માટે નવી ઉર્જાનો સંચાર કરશે : પૂનમબેન માડમ

જામનગર: ગુજરાત સરકારની ખેડૂતો માટેની મહત્વપુર્ણ યોજના "સૂર્યશક્તિ કિસાન યોજના" નું જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં, સડોદર ખાતેથી યોજાયેલા ખાસ સમારોહમાં સમાણાના 66 કે.વી. સબસ્ટેશનના મેથાણ ફીડરથી, લોકાર્પણ સંસદસભ્ય પૂનમબેન માડમના વરદ હસ્તે કરવામા આવ્યુ હતું. ગ્રામ્ય વિસ્તાર માટે એક ઉત્સાહના સંચાર સમાન વાતાવરણ બની રહ્યું હતુ. જેમાં કુમારીકાઓએ સાંસદ પૂનમબેનનુ કુમકુમથી તિલક કરી મંગલમય વાતાવરણમાં હોંશભેર સ્વાગત કર્યુ હતુ.

સાંસદ સભ્ય પૂનમબેન માડમે વધુમાં જણાવ્યુ હતું કે, ખેડૂતો પરસેવો પાડી અથાગ મહેનત કરી ખેત ઉત્પાદન માટે રાત દિવસ એક કરે છે. તેમાં તેમના પરિવારનો પણ નોંધપાત્ર સહયોગ હોય છે. તેમજ આ રીતે અન્નદાતાઓની જહેમત દ્વારા થતા ખેતઉત્પાદનો આપણા ખેતીપ્રધાન રાષ્ટ્રમાં અર્થતંત્ર માટે તેમજ પ્રગતિ માટે મહત્વનો હિસ્સો ધરાવે છે. તેમ જણાવી વાવણીથી વેંચાણ સુધીની અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવા અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો પણ સાંસદ પૂનમબેને આભાર વ્યક્ત કર્યો હતો.

 

આ લોકાર્પણ સમારોહમાં જામનગર મહાનગર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, પુર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, વાસ્મોના ડિરેક્ટર અમુભાઈ વૈશ્નાણી, જામજોધપુર તાલુકા ભાજપ પ્રમુખ જે.ટી.ડોડિયા, તાલુકા ભાજપ મહાપ્રધાન માયાભાઈ બડીયાવદરા, તાલુકા પંચાયત પ્રમુખ ધાનાભાઈ બેરા, મેથાણના સરપંચ નંદલાલ સિદપરા, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ જોષી, મોટી ગોપના પુર્વ સરપંચ રાજાભાઇ નંદાણીયા તેમજ આજુબાજુના ગામોના સરપંચો-આગેવાનો ઉપરાંત ખુબ જ બહોળી સંખ્યામા પરિવારજનો સહિત ખેડૂતો તેમજ ગ્રામ્ય ભાઇઓ બહેનો અને વિજ વિભાગોના બંને એકમોના તેમજ પંચાયત રેવન્યુના લગતા અધિકારીઓ ટેકનીકલ ટીમ તેમજ સોલાર પેનલ નિષ્ણાંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમનુ સંચાલન ભરતભાઇ અમૃતિયાએ કર્યુ હતુ.

(12:32 pm IST)