કચ્છમાં ભૂકંપના ચાર આંચકા
ફતેહગઢ, રાપર અને ભચાઉ ધરા ધ્રુજી
રાજકોટ તા. ૩૦ : કચ્છમાં કાલે સાંજથી આજે સવાર સુધીમા ભૂકંપના ૪ આંચકા અનુભવાતા લોકોમાં ભય પ્રસરી ગયો છે.
ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે કાલે બુધવારે સાંજે ૫.૩૪ વાગ્યે કચ્છના ફતેહગઢ માં ૨.૫ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ ફતેહગઢ થી ૧૪ કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ હતું.
જયારે મોડી રાત્રીના ૨.૦૪ વાગ્યે કચ્છના રાપરમાં ૨.૨ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ રાપર થી ૧૮ કિલોમીટર દૂર હતું.
આ ઉપરાંત રાત્રીના ૨.૫૬ વાગ્યે કચ્છના ભચાઉમાં ૧.૫ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ ભચાઉ થી ૧૨ કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ હતું.
આજે સવારે ૬.૧૮ વાગ્યે કચ્છના રાપરમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા ૨ .૩ ની હતી. જેનું કેન્દ્ર બિંદુ રાપર થી ૧૩ કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ હતું.