સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd October 2020

સ્થાનિક રોજગારી મુદ્દે વડનગરના બેરોજગાર યુવાનો દ્વારા કોડીનારમાં ઉપવાસ : છ યુવાનોની તબિયત લથડી

કોડીનાર, તા. રઃ સ્થાનિક રોજગારી મુદ્દે વડનગર ગામના બેરોજગાર યુવાનો છેલ્લા ત્રણ દિવસથી આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે. જેમાં કુલ છ યુવાનોના બી.પી. તથા સ્યુગર ઘટવાથી નાજુક સ્થિતિ થતાં તેમની મનાઇ હોવા છતાં પોલીસ દ્વારા દવાખાને ખસેડાયા છે.

બેરોજગાર યુવાનોના સમર્થનમાં વધુ ત્રણ યુવાનો આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે. તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં અન્ય યુવાનો ધરણા કરી રહ્યા છે ત્યારે કંપની સંચાલકોએ સ્થાનિક તંત્ર અને જીલ્લા કલેકટરશ્રીને પત્ર પાઠવી સરકારની ગાઇડ લાઇન પ્રમાણે ૮પ ટકા સ્થાનિક લોકોને રોજગારી આપી હોવાનું અને બાકીના ટેકનીકલ અને સીમેન્ટ પ્લાન્ટના અનુભવી લોકો લીધા હોવાનું નિવેદન કરતા ઉપવાસીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.

જોકે હજુ સુધી સીમેન્ટ કાું.ના કોઇપણ જવાબદાર અધિકારી ઉપવાસી લોકોની મુલાકાત લીધી નથી કે કોઇ સમાધાનકારી વલણ અપનાવેલ નથી ત્યારે કંપનીએ બીજો એક પત્ર સરકારમાં મોકલીને આંકડાની ઇન્દ્રજાળ જણાવી હતી કે હાલમાં કંપનીમાં ર૦૦૦ જેટલા લેબર કામ કરે છે જેમાં પ૦૦ યુવાનો વડનગરના છે. ૬૭૦ કાયમી કર્મચારીમાંથી ૧પ૦ યુવાનો માત્ર વડનગરના જ છે. ટ્રાન્સપોર્ટ કાર્યમાં વડનગરના પ૦ ટ્રકો ચાલતા હોવાનું જેમાં પણ ૩૦ કોન્ટ્રાકટ વડનગર ગામના ફાળે હોવાનું જણાવેલ છે.

જયારે વર્તમાન સમસ્યા પેકીંગ પ્લાન્ટના મજદુરોની છે જે ચલાવવા કુશળ કારીગરોની જરૂરીયાત છે. જેમાં ગુજરાતમાંથી કારીગરો લાવ્યાનું જણાવ્યું છે ત્યારે સમાધાનકારી વલણ અપનાવવાને બદલે સરકારમાં પત્ર લખીને શું સાબિત કરવા માંગે છે ? પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસીઓની તબીયત બગડવા ઉપરાંત આ ઉપવાસીઓને ગામેગામથી મળતો ટેકો આ ચીનગારી આગ બને તે પહેલા કંપની મેનેજમેન્ટ સામે સરકાર દરમ્યાનગીરી કરે તેવી આમ જનતાની માંગણી છે.

(11:40 am IST)