જસદણમાં કુતરાઓનો ભારે ત્રાસ બાળકને હાથ-મોઢા પર બટકા ભર્યા!!
અંબિકાનગરના રહીશો દ્વારા ચીફ ઓફીસરને લેખીત રજૂઆત
(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ તા.૧૧ : અહીના સ્મશાન પાછળ આવેલ અંબિકાનગરમાં રખડુ કુતરાઓનો ભારે ત્રાસ ઘણા સમયથી વર્તાઇ રહ્યો છે. ગમે ત્યારે ગમે તેને કરડી લેવાના બનાવ બનતા રહે છે.
તાજેતરમાં એક નાના બાળકને કુતરાઓએ હાથ તેમજ મોઢા પર બટકા ભરી ગંભીર ઇજા પહોચાડતા લોકોમાં ઘેરા પડઘા પડયા હતા.
અંબિકાનગરમાં હરેશ છગનભાઇ ઢોલરીયાનો પાંચ વર્ષનો પુત્ર કર્મ ઘર પાસે રમતો હતો ત્યારે અચાનક ૧૦-૨૦ જેટલા કુતરાઓએ બાળક પર હુમલો કરી બાળકને હોઠ મોઢા તેમજ હાથ પર ઇજા કરતા બાળકને તાકિદે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ.
અંબિકાનગરના રહીશોએ ચીફ ઓફીસર ત્રિવેદી તથા ડે. કલેકટરને આવેદન પત્ર પાઠવી આ વિસ્તારમાંથી કુતરાઓનો ત્રાસ દૂર કરવા માંગણી કરેલ છે.
રજૂઆતમાં જણાવેલ છે કે, અહી નજીકમાં મૃત પશુઓનુ કટીંગ થાય છે. તેનુ વેસ્ટેજ માસના ટુકડા જયા ત્યા ફેકી દેવામાં આવતા હોય આ વિસ્તારમાં ખૂબ જ દુર્ગંધ આવે છે તેમજ માસ ખાવા કુતરાઓની પણ આવન જાવન વધુ રહેતી હોય તાકિદે કુતરાઓને પકડી શહેરની બહાર છોડવા માંગ કરી છે.