સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th October 2020

બગવદર પાસે છકડો પલ્ટી જતાં આદિત્યાણાના ખીમાભાઇ મોરીનું મોત

પશુ માટેનો ખોરાક લેવા જતી વખતે અકસ્માત નડ્યો હતોઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૯: રાણાવાવના આદિત્યાણા ગામે રહેતાં ખીમાભાઇ દાનાભાઇ મોરી (ઉ.વ.૫૫) નામના રબારી પ્રોૈઢનું છકડો રિક્ષા પલ્ટી ખાઇ જતાં ઇજા થતાં મોત નિપજ્યું છે.

ખીમાભાઇ મોરી ૧૫મીએ છકડો રિક્ષામાં બેસી પોતાના પશુ માટેનો આહાર લેવા જઇ રહ્યા હતાં ત્યારે બગવદર નજીક ભારવડા ગામની ગોળાઇમાં છકડો રિક્ષા પલ્ટી મારી જતાં ખીમાભાઇને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્યુ પામનાર ચાર બહેન અને બે ભાઇમાં મોટા હતાં અને મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રાથમિક કાગળો કર્યા હતાં.

(11:00 am IST)