પડધરીમાં પાનના ધંધાર્થી મનિષભાઇ દોશીએ અગ્નિસ્નાન કરી મોત મેળવ્યું ૧૮મીથી સારવારમાં હતાં: ક્રોધ ચડતાં પગલુ ભર્યાનું ડીડીમાં લખાવ્યું હતું
રાજકોટ તા. ૨૨: પડધરીમાં તેજાભાઇ પાર્ક સોસાયટીમાં રહેતાં મનિષભાઇ છબીલદાસ દોશી (ઉ.વ.૪૮)એ ૧૮મીએ સવારે ચારેક વાગ્યે અગ્નિસ્નાન કરી લેતાં પડધરી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મનિષભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં અને પાન-કોલ્ડ્રીંકસની દૂકાન ધરાવતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પડધરી પોલીસના કહેવા મુજબ મીનષભાઇએ ૧૮મીએ વહેલી સવારે અગાસીએ જઇ આ પગલુ ભરી લેતાં તેમના પત્નિ જોઇ જતાં દેકારો મચાવતાં બીજા લોકોએ ભેગા થઇ આગ ઓલવી હતી.
હેડકોન્સ. વકારભાઇએ પડધરીથી રાજકોટ પહોંચી મનિષભાઇ સારવારમાં હતાં ત્યારે મામલતદાર સમક્ષ ડી.ડી. લેવડાવ્યું હતું. તે વખતે મનિષભાઇએ પોતાને ક્રોધ ચડી જતાં આમ કર્યાનું કહ્યું હતું. જો કે ક્રોધ શા માટે ચડ્યો? તે અંગે કોઇ વિગતો જણાવી નહોતી. સારવારમાં રાતે તેમણે દમ તોડી દેતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ છે.