ખંભાળીયામાં ગઢવી સમાજ દ્વારા રેલી : મુંદ્રામાં ગઢવી યુવકની કસ્ટોડિયલ ડેથ મામલે કલેકટરને રજૂઆત
જામખંભાળીયા : કચ્છના મુદ્રામાં સમાઘોઘાના ગઢવી યુવાનને ચોરીના મામલે પૂછપરછ માટે લાવી ટોર્ચર કરતા ૩૫ વર્ષના ગઢવી યુવક અરજણ ગઢવીનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે મુદ્રાના ૩ હેડ કોન્સ્ટેબલ સામે હત્યાનો ગુન્હો નોંધાયો હતો. આ મામલે ખંભાળીયા ખાતે સમાજના આગેવાનો બેઠક યોજી વિરોધ વ્યકત કર્યો હતો. ત્યારબાદ સોનલધામથી કલેકટર કચેરીએ રેલી સ્વરૂપે પહોંચીને કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાને આવેદન પાઠવી રજુઆત કરી હતી કે કસ્ટોડિયલ ડેથના ત્રણ આરોપી કોન્સ્ટેબલની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેમજ ઘટના બનેલ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને મૃતક ગઢવી યુવકના પરિવારને સરકાર દ્વારા યોગ્ય સહાય કરવામાં આવે અને તેમજ મૃતક સાથે અન્ય બે ગઢવી યુવકને ઢોર માર મારવામાં આવેલ તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તેમને પણ યોગ્ય ન્યાય મળે તે સહિતની રજૂઆત કરવામાં આવી હતી. આ સમયે ગઢવી સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ન્યાયની માંગણી કરી હતી.