૭૭ લાખની છેતરપીંડીનાં પાંચ શખ્સોને લઇ જૂનાગઢ પોલીસ દ્વારા રાજકોટ-મોરબીમાં તપાસ
સાત દિવસનાં રીમાન્ડ મળતા મુદામાલ કબ્જે કરવા તજવીજ
જુનાગઢ તા. ર૩ :.. રૂ. ૭૭ લાખની છેતરપીંડીનાં પાંચ આરોપીને લઇ જુનાગઢ તાલુકા પોલીસે આજે રાજકોટ-મોરબી ખાતે તપાસ હાથ ધરી છે.
જુનાગઢ તાલુકાનાં ભીયાળ ગામનાં નયન પ્રવિણભઇ સોજીત્રા સાથે પાંચ ઠગની ટોળકીએ રૂ. ૭૭.૭૦ લાખની છેતરપીંડી આચરી હતી.
જેમાં ડીઆઇજી મન્બીદરસિંગ પવાર એસ. પી. રવિ તેજા વાસમશેટી અને ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઇ એસ. એન. સગારકા વગેરેએ તપાસ હાથ ધરી હતી.
પોલીસે બગસરા ખાતેથી કબ્જો મેળવી આરોપીઓ રૂખડનાથ ગુલાબનાથ ચૌહાણ ઉર્ફે વઘાસીયા, જાગનાથ સુરમનાથ પઢીયાર ઉર્ફે ગુરૂદેવ, કવરનાથ રૂમલનાથ ભાટી, નરેશનાથ રૂખનાથ પઢીયાર અને ઘાસનાથ રૂખડનાથ પઢીયારને ગઇકાલે સાંજે કોર્ટમાં રજૂ કરી તમામને સાત દિવસનાં રીમાન્ડ પર મેળવ્યા હતાં.
જુનાગઢ તાલુકા પોલીસ આજે સવારે આ પાંચેય આરોપીને સાથે લઇ રાજકોટ-મોરબી ખાતે તપાસ માટે રવાના થયેલ.
તાલુકા પીએસઆઇ શ્રી સગારકાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, આરોપી રાજકોટ જિલ્લાનાં ખીરસરા અને મોરબી જિલ્લાનાં મકનસર ગામના હોય તેથી આરોપીઓને તેમના ગામ લઇ જઇ પુછપરછ તથા તપાસ હાથ ધરવામાં આવી છે.