પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાય દ્વારા કોવિડની સ્થિતિ અંગે જામનગરમાં સમીક્ષા બેઠક
જામનગરઃ હાલમાં સમગ્ર ગુજરાતમાં શિયાળાના આગમન સાથે અને દિવાળીના તહેવારો બાદ ફરી કોરોનાના કેસો ઉછાળો જોવા મળ્યો છે. આ સમયે કોરોનાનાસંભવિત સેકન્ડ વેવની સ્થિતિમાં જામનગર જિલ્લાને વધુ સલામત રાખી શકાય તે માટે જામનગરના પ્રભારી સચિવશ્રી નલિન ઉપાધ્યાય દ્વારા જિલ્લાના લાઇઝન અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સર્વેલન્સ વધારવા, આઈ.ઇ.સી એકિટવિટી દ્વારા લોકોને વધુ સમજૂતી કરવા અને ટેસ્ટ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જામનગરમાં ભીડભાડવાળા વિસ્તારમાં માસ્ક વગર ફરતા લોકો સામે કરી સખ્તાઇ દાખવવામાં આવશે તેમ જણાવી પ્રભારી સચિવશ્રીએ બેઠક બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, હાલમાં જે વિસ્તારમાંથી વધુ કેસ આવી રહ્યા છે તે વિસ્તારોમાં સર્વેલન્સની એકિટવિટી વધુ સદ્યન કરવામાં આવશે. ધનવંતરી રથ અને સંજીવની રથની આસરકારક કામગીરીનો પણ ફરી ઉપયોગ કરવામાં આવશે. હોસ્પિટલના સ્તરે તમામ પૂરતી દવાઓ, ટેસ્ટિંગ માટે પૂરતા પ્રમાણમાં કીટ અને આર.ટી.પી.સી.આર કરવામાં માટે તેમજ બેડ, સ્ટાફ વગેરેની તમામ સુવિધાઓ પૂરતા પ્રમાણમાં છે. આ સમયે લોકો વધુ સાવધાન થઈ અને માસ્કનો ઉપયોગ કરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને હાથની સ્વચ્છતાનો ખ્યાલ રાખે તે ખૂબ આવશ્યક છે તેવી અપીલ સાથે પ્રભારી સચિવશ્રીએ કહ્યું હતું કે, જયાં સુધી વેકસિન નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં તેમ લોકો સમજી અને સ્વયંશિસ્ત જાળવે તો જામનગરને આપણે સલામત રાખી શકીશું.