અંજારમાં ૪ લાખની લુંટ- મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા યુવાનની આંખમાં મરચું છાંટી બે બાઈક સવારો રોકડ ભરેલો થેલો લઈ ફરાર
ભુજ : પૂર્વ કચ્છમાં વધી રહેલ લુંટના બનાવો વચ્ચે આજે લુંટના વધુ એક બનેલા બનાવે ચકચાર સર્જી છે. મની ટ્રાન્સફરના વ્યવસાય સાથે સંકળાયેલ સુનિલ સોરઠીયા નામના યુવાનને લુંટી બે અજાણ્યા બાઈક સવારો ફરાર થઈ ગયા હતા. રાત્રે ૮ વાગ્યાના અરસામાં સુનિલ સોરઠીયા તેના ભત્રીજા સાથે ૪ લાખની રોકડ ભરેલા થેલા સાથે પોતાની બાઈક ઉપર જઈ રહ્યો હતો ત્યારે કળશ સર્કલ પાસે બાઈક ઉપર આવેલા બે યુવાનોએ સુનિલની આંખમાં મરચું છાંટતાં આંખમાં બળતરા થતાં સુનિલ તરત જ પોતાની બાઈક સાથે રસ્તા ઉપર પડી ગયો હતો. તે સાથે જ મરચું છાંટનાર બંને બાઈક સવારો ૪ લાખની રોકડ ભરેલો થેલો લઈને નાસી છુટ્યા હતા. બનાવ બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો છે અને તપાસનો ધમધમાટ ચાલુ છે. અંજારના એન્ટ્રી પોઇન્ટ સમા કળશ સર્કલ પાસે બનેલા લુંટના બનાવે ભારે ચકચાર સર્જી છે.