વરવાળા નજીક ટ્રક-કારે ત્રણ વ્યકિતને ઠોકરે લીધા : એકનું મોત
નાશી જનાર ટ્રક ચાલક અને અર્ટીકા કાર ચાલકની શોધખોળ
ખંભાળીયા, તા. ર૪ : દ્વારકાના વરવાળા નજીક હાઇવે પર પગપાળા જઇ રહેલા ત્રણ રાહદારીઓને ટ્રક અને અર્ટીકા કારે ઠોકરે લેતા એકનું મોત નિપજયું હતું. જયારે અન્ય બેને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. બનાવના પગલે દ્વારકા પોલીસ હોસ્પિટલ તેમજ ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી નાસી જનાર ટ્રક ચાલક અને અર્ટીકા કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
વિગત મુજબ દ્વારકાના વરવાળા ગામે ખારવા પાડામાં રહેતા જયેશભાઇ ગોવિંદભાઇ રૂપડીયા (ઉ.વ.ર૩) તથા તેમનો ભાઇ નિખીલ ગોવિંદભાઇ રૂપડીયા (ઉ.વ.રર) તેમજ સુરેશ રામજીભાઇ ત્રણેય પગપાળા ચાલીને વરવાળા ગામ તરફ ધાંધાભાની ગોલાઇ પાસેથી જતા હતાં ત્યારે ઓખા તરફથી પુરપાટ ઝડપે આવતા ડમ્મપર ચાલકે જયેશભાઇને ઠોકરે લેતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું. જયારે પાછળથી આવતી જી.જે.૩-જેસી-રર૦૪ નંબરની અર્ટીકા કારના ચાલકે સાથે રહેલા નિખિલ તથા સુરેશભાઇને અડફેટે લેતા તેમને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
બનાવ અંગે દ્વારકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે તથા હોસ્પિટલે પહોંચી નિખીલ ગોવિંદભાઇ રૂપડીયાની ફરીયાદ પરથી નાશી છુટેલા અજાણ્યા ડમ્પર ચાલક અને અર્ટીકા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.