સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th November 2020

વંથલી પાસે રાત્રે બંધ ટ્રક પાછળ વાન ઘુસી જતા વૃદ્ધ નાની અને દોહિત્રનું મોત

જુનાગઢથી રાણાકંડોરણા જતા અકસ્માત, સીંધી પરિવારમાં કલ્પાંત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૪ : વંથલી પાસે રાત્રે બંધ ટ્રક પાછળ વાન ઘુસી જતા વૃદ્ધ નાની અને તેના યુવાન દોહિત્રનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

જુનાગઢથી રાણાકંડોરણા જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બેના મોત થવાથી સીંધી પરિવારમાં કલ્પાંત  છવાય ગયો છે.

આ અકસ્માત અંગે પ્રાપ્ત થયેલી વિગતો એવી છે કે, જુનાગઢની આશિયાના સોસાયટીમાં રહેતા વિશાલ મુકેશભાઇ આહુજા (ઉ.ર૦) નામનો સીંધી લોહાણા યુવાન ગત રાત્રે પોતાના નાની જશોદાબેન વાસુદેવભાઇ વાધવાણી (ઉ.૬૦) ને મારૂતિવાન નં. જી.જે.૦૬-ડીજી.૧૧૪૭માં રાણાકંડોરણા ખાતે મુકવા જતો હતો.

ત્યારે વંથલીના સાંતલપુર ધાર પાસે આગળ કપાસ ભરેલા ટ્રકની પાછળ વાન ધડાકાભેર ઘુસી જતા વાનનો બુકડો બોલી ગયો હતો.

તેમજ વિશાલ અને જશોદાબેનનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયું હતું. અકસ્માતની જાણ થતા વંથલી પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

અકસ્માત અંગે પોલીસે મૃતક વૃદ્ધાના પુત્ર વિનુભાઇ વાધવાણીની ફરીયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:16 pm IST)